News of Wednesday, 5th August 2020
ભાવનગર,તા.૫:તાલુકાના ભંડારિયા ગામના સપૂત અને માઁ ભારતીના વીર જવાન શકિતસિંહ ગજેન્દ્રસિંહ ગોહિલ તા.૩૧ને શુક્રવારે વીરગતિ પામ્યા બાદ આજે મંગળવારે તેમનો પાર્થિવદેહ વતન પહોંચ્યો હતો, આ તકે રાષ્ટ્રપ્રેમના જબ્બર જુવાળ જોવા મળ્યો હતો. હજારો લોકોએ સ્વયંભુ ઉમટી પડી સજળ નયને વીર જવાનને શ્રદ્ઘાંજલિ અર્પિ હતી. શકિતસિંહ અમર રહો, ભારત માતાકી જયના નાદ સાથે સ્વર્ગસ્થની અંતિમયાત્રા નીકળી હતી જેમાં મોટી માનવ મેદનીના કારણે મોક્ષધામ પહોંચ્તા બે કલાક લાગ્યા હતા. એક વિરને છાજે તેવી રીતે પૂર્ણ રાષ્ટ્રીય સન્માન સાથે વિદાય અપાઈ હતી.
ઉત્ત્।રાંચલ ખાતે ફરજ પર રહેલા શકિતસિંહ ગજેન્દ્રસિંહ ગોહિલને ગત.તા.૩૧ જુલાઈના હાર્ટએટેક આવતા વીરગતિ પામ્યા હતા. તેમનું પોસ્ટીંગ હતું એ સ્થળે વાતાવરણ ખૂબ જ ખરાબ હોવાના કારણે છેક પાંચ દિવસે તેમનો પાર્થિવદેહ વતન ભંડારિયા ગામે બપોરે ૧.૩૦ કલકે પહોંચ્યો હતો. ગઈકાલે સોમવારે દિલ્હીથી હવાઈ માર્ગે સદગત જવાનના પાર્થિવદેહને અમદાવાદ સુધી લવાયો હતો જયાં રાજયના ગૃહ મંત્રી પ્રદીપસિંહ જાડેજા તથા શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા સહિતનાએ પુષ્પાંજલિ અર્પિ હતી જયારે આર્મી દ્વારા ગાર્ડ ઓફ ઓનર અપાયું હતું. સવારે અમદાવાદથી પાર્થિવદેહને મોટરમાર્ગે ભંડારિયા લવાયો હતો. રસ્તામાં ઠેર ઠેર રાષ્ટ્પ્રેમી લોકો દ્વારા સ્વ. શકિતસિંહને પુષ્પાંજલિ આપવામાં આવી હતી. આ કારણે વતન ભંડારિયા ખાતે પણ પાર્થિવદેહ પહોંચતા સમય ખાસ્સો લાગ્યો હતો તેમજ અહીં પણ ગામથી ૫ કિલોમીટર દૂરથી જ યુવાનો, આગેવાનોએ વીર જવાનના પાર્થિવદેહનું સ્વાગત કરી તિરંગા સાથે શોર્ય યાત્રા યોજી દેશભકિતના પૂર્ણ માહોલ વચ્ચે વાહનોના કાફલામાં જોડાઈ ગયા હતા. ભંડારિયા ગ્રામના દરેક લોકોએ આ તકે એકતાના દર્શન કરાવ્યા હતા, ગામમાં દરેક જગ્યાએ વીર જવાનની વિરગતિને નમનને લગતા બેનર હોર્ડિંગ્સ લાગ્યા હતા. તો વેપાર ધંધા બંધ પાળવામાં આવ્યા હતા.
વીર જવાન શકિતસિંહનો પાર્થિવદેહ ઘરે પહોંચ્યો ત્યારે ભારે ગમગીન દ્રશ્યો સર્જાયા હતા, ચાર બહેનોના એકના એક ભાઈ શકિતસિંહને તેમની બહેનોએ રક્ષાબંધનના બીજા દિવસે અશ્રુભીની આંખો સાથે રાખડી અર્પણ કરી ત્યારે સૌ કોઈની આંખો ભીની થઇ ગઇ હતી. તેમના માતા અને પત્ની સહિતના પરિવારજનોના હૈયાફાટ રુદને ગમગીની સર્જી હતી. સદગતની અંતિમયાત્રા રાષ્ટ્રીય માન સન્માન સાથે નીકળી હતી અને ગામના મુખ્ય માર્ગો પર થઇ મોક્ષધામ પહોંચી હતી જયાં આર્મીના નિવૃત જવાનો દ્વારા પ્રોટોકોલ મુજબ પુષ્પાંજલિ અપાઈ હતી અને હજારો લોકોની ભીની આંખો વચ્ચે શકિતસિંહ અમર રહોના નારાઓ વચ્ચે પાર્થિવદેહ પંચ મહાભૂતમાં વિલીન થયો હતો. જિલ્લા પંચાયતના મહિલા પ્રમુખ વકતુબેન, તળાજાના ધારાસભ્ય કનું બારૈયા, ભાવનગરના મેયર મનહરસિંહ મોરી, સ્ટેન્ડીંગ ચેરમેન યુવરાજસિંહ, ઘોઘા તાલુકા પંચાયત પ્રમુખ સંજયસિંહ માલપર, ગોહિલવાડ રાજપૂત સમાજના પ્રમુખ વાસુદેવસિંહ, પૂર્વ પ્રમુખ - માજી ધારાસભ્ય પરબતસિંહ ગોહિલ, જી.પં. પૂર્વ પ્રમુખ સંજયસિંહ, મ્યુ. શિક્ષણ સમિતિ ચેરમેન નિલેષ રાવલ સહિત દરેક સમાજના રાજકીય, સામાજીક આગેવાનો, કાર્યકરો તેમજ તાલુકાના અધિકારીઓ, પ્રાંત અધિકારી વિગેરેની ઉપસ્થિતી રહી હતી. વરતેજ પોલીસે બંદોબસ્ત જાળવ્યો હતો.
વીરગતિ પામેલા આર્મીમેન શકિતસિંહ ગોહિલના ૭ વર્ષના પુત્રએ પિતાને જયઘોષ સાથે હિંમતભેર વિદાય આપી હતી. બાળકના ચહેરા પર પિતાના અવસાન દુઃખ જેટલું જ વિરગતિનું ગૌરવ પણ દેખાતું હતું .