Gujarati News

Gujarati News

News of Thursday, 5th July 2018

યાત્રિકો સાથે કેવો વ્યવહાર અને વર્તન કરવું તે અદાણી ગ્રુપ શીખવશેઃ સોમનાથ ટ્રસ્‍ટના કર્મચારીઓ, પુજારીઓ, સફાઇ કામદારો, સિક્યુરીટી ગાર્ડને પાઠ ભણાવાશે

ગીર-સોમનાથઃ સોમનાથ મહાદેવના દર્શને આવતા યાત્રિકો સાથે કેવું વર્તન કરવું તે અંગેના પાઠ ભણાવવા માટે અદાણી ગ્રુપ દ્વારા તાલીમ આપવામાં આવશે.

સોમનાથ ટ્રસ્ટ શ્રદ્ધાળુઓને ઉત્તમ સેવા મળતી રહે તે માટે સતત કાર્યશીલ છે. આ અંગે યાત્રાળુઓ માટે વિવિધ સુવિધાઓ ઊભી કરવા ઉપરાંત ટ્રસ્ટના કર્મચારીઓ દ્વારા પણ તેમને સારી સેવા મળતી રહે તે માટે પ્રયત્નો થઇ રહ્યા છે. આ વર્ષે ટ્રસ્ટ દ્વારા તેના તમામ કર્મચારીઓને વિવિધ તાલીમ કાર્યક્રમ અંતર્ગત તેમની કાર્યક્ષમતા વધે અને તેઓ યાત્રાળુઓને સારી રીતે સેવાઓ આપે તેની તાલીમોનું આયોજન કરવામાં આવ્યું છે.

સોમનાથ મહાદેવના દર્શને દેશ વિદેશથી વર્ષે એક કરોડ જેટલા દર્શનાર્થીઓ આવતા હોય છે ત્યારે સોમનાથ ટ્રસ્ટ દ્વારા અદાણી સ્કીલ ડેવલપમેન્ટ સેન્ટર સાથે તાલીમ અંગેના સહયોગ માટેના એમ.ઓ.યુ.કરવામાં આવ્યા છે. આ એમ.ઓ.યુ. અંતર્ગત અદાણી સ્કીલ ડેવલપમેન્ટ સેન્ટરના ટ્રેનર્સ દ્વારા સોમનાથ ટ્રસ્ટના બધા જ કર્મચારીઓને હોસ્પિટાલીટીની તાલીમ આપવામાં આવશે.

તાલીમ અલગ અલગ કેટેગરીમાં અંદાજે એકાદ માસ સુધી ચાલનારી છે. સોમનાથ ટ્રસ્ટના 800 જેટલા કર્મચારી એટલે કે પુજારી સહીતના ગેસ્ટહાઉસ અને સફાઇ કામદારથી લઇ સીક્યુરીટી ગાર્ડને પણ યાત્રિકો સાથે કેવો વ્યવહાર અને વર્તન કરવુ તેના માટે તાલીમ આપવા માં આવી રહી છે. ટ્રષ્ટના મેનેજરના જણાવ્યા પ્રમાણે એક કર્મચારીની તાલીમ પાછળ અંદાજે 3500 થી 4000નો ખર્ચ કરવામાં આવશે.

સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે સોમનાથ મહાદેવનું મંદીર ભારતના બાર જ્યોતિર્લીંગમાંનું પ્રથમ જ્યોતિર્લીગ છે ઐતિહાસીક અને વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મહાદેવના દર્શને વર્ષ દરમ્યાન એકાદ કરોડ જેટલા દર્શનાર્થીઓ આવે છે આવનાર દર્શનાર્થીઓની સુવિધાની સાથે-સાથે એમની સાથે સારો વ્યવહાર કરવા માટે તેમજ ગેસ્ટહાઉસમાં ઉતરે તો કેવી રીતે તેમની સારી રીતે સુવિધા સાચવવા માટે આ તાલીમ આપવામાં આવી રહી છે. જેમાં ટ્રષ્ટના પુજારીઓ,અધીકારીઓથી માંડીને સફાઇ કામદારોને પણ તાલીમ આપવામાં આવી રહી છે.

તાલીમ આપનાર શિલ્પા પંડ્યાએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર દ્વારા સોમનાથ મહાદેવના મંદીરને આઇકોનીક પ્લેસનું સ્થાન મળતા જ સોમનાથમાં આવતા તમામ યાત્રિકો સાથે કેમ વ્યવહાર કરવો જેને લઇ સોમનાથ મંદીર ટ્રષ્ટના પુજારીઓ, અતિથીગૃહોના કર્મચારીઓ, સુરક્ષા વિભાગના કર્મચારીઓ તેમજ સફાઇ કામદારો માટે શ્રી સોમનાથ ટ્રષ્ટ અને અદાણી ગ્રુપ દ્વારા અધ્યતન તાલીમનો પ્રારંભ કરાયો છે.

(6:13 pm IST)