Gujarati News

Gujarati News

News of Thursday, 4th June 2020

નર્મદા કમાન્ડ વિસ્તારના ખેડૂતોને પાક માટે નર્મદાનું પાણી કેનાલો મારફતે અપાશે

કમાન્ડ વિસ્તારના અંદાજે ૧૪ લાખ હેક્ટર કરતા વધુ વિસ્તારના ખેડૂતોને લાભ

 

અમદાવાદ : નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે જણાવ્યુ છે કે, ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા બંધ દ્વારા ગુજરાતના લાખો ખેડૂતોને સિંચાઇ માટેનું પાણી તથા કરોડ કરતા વધુ નાગરિકોને પીવાનું પાણી પુરૂ પાડવામાં આવી રહ્યું છે. સુજલામ-સુફલામ યોજના, સૌની યોજના દ્વારા પણ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છ સુધી નર્મદાના પાણીનો લાભ પુરો પાડવામાં આવી રહ્યો છે

   નાયબ મુખ્યમંત્રીએ ઉમેર્યુ કે, રાજ્યના ખેડૂતોને સિંચાઇની સુવિધા પુરી પાડવા માટે હવે આગામી ખરીફ સીઝન-ચોમાસાની સીઝનના વાવેતર માટે ખેડૂતો તરફથી રાજ્ય સરકારમાં રજુઆત કરવામાં આવી રહી છે ત્યારે નર્મદા મંત્રી તરીકે તેઓએ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ચર્ચા કર્યા બાદ નવી સીઝનમાં વાવેતર માટે નર્મદા કમાન્ડ વિસ્તારના ખેડૂતોને ખરીફ-૨૦૨૦ ના પાક માટે આગામી મી જુન, રવિવાર થી નર્મદાના નીર શરૂ કરવાનો નિર્ણય લીધો છે. નિર્ણયથી સમગ્ર નર્મદા કમાન્ડ વિસ્તારના ૧૪ લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર કરતા ખેડૂતો, સુજલામ-સુફલામ યોજના, સૌની યોજના દ્વારા પાણી મેળવી વાવેતર કરતા ખેડૂતો, ફતેહવાડી અને ખારીકટ કેનાલ દ્વારા પાણી મેળવતા ખેડૂતોને વાવેતર માટે પાણી મળી રહેશે અને ગુજરાતના ખેડૂતોની મહેનત અને નર્મદા મૈયાના નીર થકી આગામી ખરીફ સીઝનમાં પણ દર વર્ષની જેમ ખેડૂતો વિપુલ પ્રમાણમાં વિવિધ પાકોનું ઉત્પાદન કરીને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના ખેડૂતોની આવક બમણી કરવાના લક્ષ્યને સાકાર કરવામાં મદદરૂપ થશે.

(12:47 am IST)