Gujarati News

Gujarati News

News of Tuesday, 5th June 2018

શુક્રવારથી પૂ. મોરારીબાપુના સાનિધ્યમાં સદ્ભાવના પર્વ

રવિવારે એવોર્ડ અર્પણ વિધિઃ તડામાર તૈયારી

ભાવનગર-કુંઢેલી, તા. ૫ :. ભાવનગર જિલ્લાના મહુવા શહેરના કૈલાસ ગુરૂકુળ ખાતે આગામી તા. ૮ ને શુક્રવારથી ત્રણ દિવસ માટે સદ્ભાવના પર્વ-૯ યોજાશે. પૂ. મોરારીબાપુની નિશ્રામાં સતત નવમાં વર્ષે અહીં સદ્ભાવના પર્વનું આયોજન થયુ છે. સમાપનના ત્રીજા દિવસે મોરારીબાપુ દ્વારા રાજ્ય અને રાષ્ટ્ર કક્ષાના સદભાવના એવોર્ડથી ગુજરાત કાર્યક્ષેત્ર માટે શિક્ષણવિદ્દ અને કર્મશીલ (એએમડબલ્યુએ) ડો. મહેરૂનનિસા દેસાઈને તેમજ કાર્યક્ષેત્ર ભારત માટે ખુદાઈ ખિદમતગાર ફૈસલખાનને સન્માનિત કરવામાં આવશે.

પ્રારંભના દિવસે બપોરના ૩ થી ૬ કલાકે વિશ્વગ્રામના તુલા-સંજય પર્વની ભૂમિકા બાંધી આપશે. જ્યારે બીજરૂપ વકતવ્ય વિશ્વ વિખ્યાત સ્થપતિ બાલકૃષ્ણ દોશી આપશે. તેમજ ચલચિત્ર સમીક્ષક અને ઈતિહાસવિદ્દ અમૃત ગંગર કલાજગત વિશે વાત કરશે. બીજા દિવસે તા. ૯ને શનિવારે સવારના ૯ થી ૧૨ વચ્ચેની સંગોષ્ઠિમાં કર્મશીલ અને ગાંધી વિચારક પી.વી. રાજગોપાલ રાજ્ય વ્યવસ્થા અંગે જ્યારે અર્થ વ્યવસ્થા અંગે કૃષિ અર્થશાસ્ત્રી દેવીન્દર શર્માના વકતવ્યો થશે.

સાંજના ૩.૩૦ થી ૬.૩૦ની વચ્ચે સમાજ વ્યવસ્થા વિશે સામાજિક કર્મશીલ સુષમા આયંગર અને પર્યાવરણ શિક્ષણવિદ્દ કાર્તિકેય સારાભાઈ પર્યાવરણીય વ્યવસ્થાની રજૂઆત કરશે. ત્રીજી રાત્રી બેઠક રાત્રીના ૮.૩૦ થી ૧૦ કલાક વચ્ચે 'હું, તત્વમસિ અને રેવા' વિષય તળે સાહિત્યકાર ધ્રુવ ભટ્ટનું વકતવ્ય યોજાશે. સમાપનના ત્રીજા દિવસે તા. ૧૦ને રવિવારે અંતિમ બેઠક સવારના ૯ થી ૧૨ ની રહેશે. જેમાં કાર્યકરો અનુભવ અને પ્રતિભાવો આપણી વાત અંતર્ગત વિચારો રજૂ કરશે. બાદમાં ચિત્રકુટ ધામ તલગાજરડા દ્વારા પૂ. મોરારીબાપુના હસ્તે સદભાવના એવોર્ડ એનાયત થશે અને પૂ. બાપુ સમાપન વકતવ્ય આપશે. રસ ધરાવતા સૌ કોઈ સાદર નિમંત્રીત છે.

(11:36 am IST)