Gujarati News

Gujarati News

News of Tuesday, 5th June 2018

જૂનાગઢના વંથલીમાં ઓજત નદીના ગેરકાયદે ખનન મુદ્દે પ૦ ખેડૂતો દ્વારા આત્મવિલોપનની ચિમકીઃ પથ્થરમારો-ચક્કાજામની ઘટનામાં ૩ પોલીસ કર્મચારીને ઇજા

જૂનાગઢઃ જૂનાગઢ જિલ્લાના વંથલી ગામમાં આજે ગેરકાયદે ખનન મુદ્દે ગ્રામજનોઅે ગામ બંધ રાખી વિરોધ વ્‍યક્ત કર્યો હતો અને આવેદનપત્ર પાઠવ્યુ હતું. આ દરમિયાન મામલો બિચકતા પથ્થરમારો થયો હતો. જેની સામે પોલીસે ટીયરગેસના સેલ છોડ્યા હતા. આ દરમિયાન ૩ પોલીસ કર્મચારીઓને પણ ઇજા પહોંચી હતી.

બીજી તરફ પોલીસે ધારાસભ્ય જવાહર ચાવડાની અટકાયત કરી હતી. આ સાથે જ ગેરકાયદેસર ખનનના વિરોધમાં ગામલોકોએ બંધ પાળ્યો છે.

વંથલીની ઓઝત નદી ખોદી નાખી તેમાંથી રેતી કાઢતા લુખ્ખા તત્વોને તંત્ર છાવરતું હોવાની વાતને લઇ ગ્રામજનોમાં ઉગ્ર રોષ જોવા મળ્યો હતો. જેથી રોષે ભરાયેલા ખેડૂતો અને ગામવાસીઓ ટાયરો સળગાવીને રસ્તા પર ચક્કાજામ કર્યો હતો અને સમગ્ર ગ્રામ સજ્જડ બંધ જોવા મળ્યું હતું. તો ગામ લોકોએ ચીમકી ઉચ્ચારી હતી કે જો આવા લુખ્ખા તત્વો સામે ખાતાકીય પગલા નહીં ભરાઇ તો 29 જૂનના રોજ જૂનાગઢ કલેક્ટર કચેરીમાં 40થી 50 સ્ત્રી-પુરુષ ખેડૂતો આત્મવિલોપન કરી જીવ આપશે.  આ સાથે જ લોકોએ બેનરો લગાવીને વિરોધ કર્યો હતો. જેમાં લખવામાં આવ્યું હતું કે..

આમ હજારો લોકો રસ્તા પર ઉતરી આવતા ટ્રાફિકજામની સ્થિતિ ઉભી થઈ હતી. સાથે જ જૂનાગઢમાં પણ ટ્રાફિકજામ સર્જાયો હતો.

ત્યારે આજે વંથલી સજ્જડ બંધ પાળતા આંદોલનકારી નયનભાઇ કલોલા નામના ખેડૂત પર લુખ્ખા તત્વોએ હિચકારો હુમલો કરતા તેઓ લોહીલૂહાણ હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બાદમાં પરિસ્થિત વધુ તંગ બની હતી અને પોલીસ પર લોકોએ પથ્થરમારો કર્યો હતો. ટોળાને કાબૂમાં લેવા પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા હતા. તેમજ ધારાસભ્ય જવાહર ચાવડાની અટકાયત કરી હતી.

(6:29 pm IST)