Gujarati News

Gujarati News

News of Wednesday, 5th May 2021

ભાવનગરમાં કોરોનાના દર્દીઓની વિવિધ મુશ્કેલીઓ સંબંધે કોર્ટમાં દાવો

વેન્ટીલેટર, રેમડેસીવીર ઇન્જેકશન, ઓકસીઝન સહીતના મેડીકલ સાધનો મળતા નથીઃ સાચા મૃત્યુ આંકડા જાહેર કરવા પણ માંગણીઃ ચાર જાગૃત નાગરીકો દ્વારા કોર્ટમાં સરકાર વિરૂધ્ધ દાવો થતા કોર્ટ દ્વારા આવતીકાલે તા.૬ના જવાબ રજુ કરવા તંત્રને નોટીસ અપાઇ

ભાવનગર, તા., પઃ કોરોનાની વિષમ અને વિકટ પરિસ્થિતિમાં ભાવનગર શહેર અને સંલગ્નીત ગ્રામ્ય વિસ્તારોના દર્દીઓ તેમજ તેમના શહેર રઝળપાટ સારવાર મેળવવા કરે છે છતા સરટી હોસ્પીટલ અને કોવીડ સારવાર આપતી હોસ્પીટલોમાં દાખલ થવા જગ્યા મેળવવા મુશ્કેલી પડે છે અને વેન્ટીલેટર, રેમડેસીવીર ઇન્જેકશન, ઓકિસજન સહીત મેડીકલ સાધનો પુરતા મળતા નથી અને પારાવાર પરેશાની અને હાડમારી ભોગવવી પડે છે તે બાબત વિગતવાર ચિતાર આપતો દાવો ભાવનગરના ચાર આગેવાનોએ રાજય સરકાર, આરોગ્ય સચીવ, આરોગ્ય નિયામક, મ્યુ. કમિશ્નર, મ્યુ. આરોગ્ય અધિકારી, કલેકટર તેમજ સર ટી હોસ્પીટલના સુપ્રિટેન્ડન્ટ સામે વિજ્ઞાપન અને આદેશાત્મક હુકમ માટે કરી તાત્કાલીક વચગાળાના ચોકકસ હુકમોની પ્રતિવાદીઓ સામે દાદ માંગતા ભાવનગરના સિનીયર સીવીલ જજ શ્રી રાજેન્દ્રસિંઘે પ્રતિવાદીઓ સામે અરજન્ટ   નોટીસ જારી કરી તા.૬ના રોજ પ્રતિવાદીઓને જાતે અથવા તેમના વકીલ મારફત હાજર થવા હુકમ કર્યો છે.

કોરોનાની વિકટ સ્થિતીમાં ભાવનગરમાં હોસ્પીટલમાં જગ્યા મળતી નથી. વેન્ટીલેટર  સવા ઓછા છે. રેમડેસીવીર ઇન્જેકશનો અને પુરતો ઓકસીજન મળતો નથી અને દર્દીઓને રઝળપાટ કરવી પડે છે અને શહેરનું આરોગ્ય તંત્ર તેમજ વહીવટી તંત્ર દર્દીઓને તાત્કાલીક અને અસરકારક સારવાર આપવામાં ઉણુ ઉતરેલ છે તેમ વિગતો અને પુરાવાઓ સાથે શહેરના ચાર જાગૃત નાગરીકો સિનીયર એડવોકેટ અગ્રણી હિરેન જાની, સિનીયર ડોકટર અને સામાજીક અગ્રણી ડો.નિલુભાઇ વૈષ્ણવ, ચેમ્બર ઓફ કોમર્સ અને ઘરશાળાના પુર્વ પ્રમુખ તથા પુર્વ કોર્પોરેટર અનિલભાઇ ઠક્કર અને પુર્વ કોર્પોરેટર તથા સામાજીક અગ્રણી શબીરભાઇ ખલાણીએ પોતાના ધારાશાસ્ત્રીઓ જીતુ ઉપાધ્યાય તથા પ્રશાંત જાની મારફત દાવો દાખલ કરી વચગાળાના આદેશાત્મક હુકમ પ્રતિવાદીઓ  સામે કરવા માંગણી કરી છે. નામદાર અદાલતે પ્રાથમીક સુનાવણી કરી દાવો દાખલ કરવા પરવાનગી આપી વચગાળાના હુકમ બાબતે પ્રતિવાદીઓ શું કહેવા માંગે છે તે જવાબ આપવા પ્રતિવાદીઓને તા.૬ના રોજ હાજર રહેવા નોટીસ જારી કરી છે. પ્રજાને અસર કરતા ખોટા કૃત્ય સામે ઇલાજ મેળવવાની કાયદાકીય જોગવાઇ સી.પી.સી. કલમ ૯૧માં છે તે મુજબ દાખલ કરાયો છે.

વાદીઓએ તેમનો દાવો ચાલતા સુધી વચગાળાના આદેશાત્મક હુકમ માટેની અરજીમાં દર્દી દાખલ થવા આવે ત્યારે સારવાર લીધા વિના પાછા જવુ ન પડે તેવી વ્યવસ્થા ગોઠવવા, પ્રજાની આરોગ્ય સુખાકારી માટે પ્રતિવાદીઓ પાસે શું એકશન પ્લાન છે? તેની વિગત નામદાર કોર્ટમાં રજુ રાખવા, દર્દીઓની મજબુરીનો ગેરલાભ મેડીકલ સાધનો, ઇન્જેકશનો અને દવાઓના કાળા બજાર કરીને ન થાય અને  તમામ મેડીકલ સાધનો, દવાઓ સરળતાથી મળી રહે તે પ્રબંધ તાત્કાલીક ગોઠવવા, કોરોના દર્દીઓના મૃત્યુઆંક અને કોરોના સંક્રમણના આંકડા તથા શહેરની હોસ્પીટલમાં કોરોના દર્દીઓ માટે જગ્યાની ઉપલબ્ધી સહીતની વિગતો જાહેર કરવા અને દર્દીઓને સારવાર માટે અહીથી તહી રઝળપાટ કરવી ન પડે તે કાર્યક્ષમ વ્યવસ્થા ગોઠવવા, આર.ટી. પી.સી.આર. ના રીપોર્ટ ઝડપથી આવે અને બંધ મ્યુ. શાળાઓમાં સારવારની તમામ સુવિધા સાથે કોરોના દર્દીઓ માટે સારવાર કેન્દ્ર તાત્કાલીક શરૂ થાય તે માટે પ્રતિવાદીઓને આદેશો આપવા દાદ માંગવામાં આવતા ભાવનગરના સિનીયર સિવિલ જજ શ્રી રાજેન્દ્રસિંઘે અરજન્ટ નોટીસ તા.૬ના રોજ પ્રતિવાદીઓ સામે જારી કરેલ છે.

આ દાવા સાથે ત્રણ મહિલા સામાજીક કાર્યકરો દર્શનાબેન જોશી, જીજ્ઞાસાબહેન ઓઝા અને લતાબહેન ચૌહાણના દાવાની વિગતોના સમર્થનમાં સોગંદનામા, કોંગ્રેસ પક્ષનું કલેકટરને અપાયેલ આવેદન પત્ર તેમજ વિવિધ અગ્રણી અખબારોના અહેવાલો સહીતના પચ્ચીસ દસ્તાવેજી પુરાવાઓ તેમજ ગુજરાત હાઇકોર્ટના કોરોના બાબતની સુઓ મોટો રીટ પીટીશન તેમજ તેમાં આનુષંગીક અરજીઓ ઉપરના પાંચ હુકમો પણ દાવાના સમર્થનમાં રજુ કરાયા છે.

વાદી જાગૃત નાગરીકો તરફથી ધારાશાસ્ત્રીઓ જીતુ ઉપાધ્યાય, પ્રશાંત જાની, જીતુ સોલંકી અને સાજીદ કાઝી રોકાયા છે.

(12:53 pm IST)