Gujarati News

Gujarati News

News of Monday, 5th April 2021

જૂનાગઢના ઋષાંત ચોટલીયાએ મંગળ ગ્રહ ઉપર જમીન ખરીદી

(વિનુ જોષી દ્વારા)જૂનાગઢ,તા. ૫: પૃથ્વી ઉપર જેમ જીવન હરતું ફરતું અને ઈસ્ટમેન કલરમાં રહેતું હોય અને એક ક્રાંતિમય જીવન મનુષ્ય અને પ્રાણીઓમાં જોવા મળી રહ્યું છે. તો આ સાથે જ ઘણા સમયથી વૈજ્ઞાનિકો ચંદ્ર, મંગળ ઉપર સફર કરી આવ્યા હોવાના દાખલા છે. એક સવાલ સમગ્ર માનવજાતને ઉઠે છે કે, ઉપગ્રહ ગણાતા ચંદ્ર અને મંગળ ઉપર પૃથ્વીની જેમ જ માનવજીવન શકય છે ખરૃં ? આ અંગેની બુધ્ધીગમ્ય ચર્ચાઓ અને વિવરણ અનેકવાર થતા હોય છે.

એટલું જ નહીં પુરાવાઓ પણ મળ્યા હોવાનું કહેવાય છે. ઉપગ્રહ સાથેની કીવદંતીઓની સાથે અનેક બનાવો પણ સામે આવ્યા છે. દરમ્યાન ટોચની સેલીબ્રીટીઓએ ઉપગ્રહ ઉપર જમીન ખરીદી છે ત્યારે જૂનાગઢના એક યુવાને પણ તાજેતરમાં જ મંગળ ગ્રહ ઉપર જમીન ખરીદી હોવાનો કિસ્સો બહાર આવેલ છે. આ જમીન ખરીદી કરવા ઓનલાઈન પેમેન્ટ પણ કરી દીધું છે અને જે તે કંપની દ્વારા ત્યાંથી જમીન ખરીદી સર્ટીફીકેટ આપી દીધું છે.

જૂનાગઢનાં ઋષાંત કિશોરભાઈ ચોટલીયાની કે જેણે મંગળ ગ્રહ ઉપર જમીન ખરીદી છે. આર.કે.વેબ સોલ્યુશન આઈટી કંપનીની કામગીરી સંભાળતા તેમજ કોમ્પ્યુટર સાયન્સમાં એમ.ફીલ. થયેલા યુવાન અને સિલ્વર મેડલ પ્રાપ્ત કરેલા ઋષાંત ચોટલીયા જૂનાગઢનાં અગ્રણી વેપારી અને સમાજ સેવક કિશોરભાઈ ચોટલીયાના પુત્ર છે. ઋષાંત ચોટલીયાએ લુનાર લેન્ડરર્સ નામની કંપની પાસે મંગળ ગ્રહ ઉપર જમીન લેવા માટેની વાટાદ્યાટ અને ઓનલાઈન પ્રક્રિયા કરી હતી અને આ અંગેની ભરવી પડતી રકમ તેમણે મોકલી આપેલ હતું.

બદલામાં કંપનીએ તેમને મંગળ ગ્રહ ઉપર સાઈટ અંગેનો મેપ અને જમીન ખરીદી અંગેનું સર્ટીફીકેટ મોકલી આપ્યું છે. આગામી દિવસોમાં જમીન અંગેની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે. સામાન્ય રીતે કોઈપણ વ્યકિત ગ્રહ ઉપર રહી શકે તેમ નથી પરંતુ એક શોખ માટે આ કામ થઈ રહ્યું હોવાનું જાણવા મળેલ છે.

(1:28 pm IST)