Gujarati News

Gujarati News

News of Tuesday, 5th March 2019

થાનગઢ પાસે અકસ્માતમાં ૨ પુત્રો સાથે પિતાનું મોત

સમુહલગ્નમાંથી પરત ફરતી વખતે બાઇકને ટ્રકની ટક્કરઃ સાયલાનું વડીયા ગામ હિબકે ચડયું

ચોટીલા - વઢવાણ તા. ૫ : ગત રાત્રીનાં વાટાવચ્છ ગામે કોળી સમાજનાં સમુહલગ્ન પતાવી બાઇક ઉપર પરત થાનગઢ આવી રહેલ પિતા અને બે પુત્રનાં ખાખરાળી ચોકડી પાસે ટ્રક અકસ્માત થી મૃત્યુ નિપજતા સવારે સાયલા તાલુકાના નાનકડા ગામ વડીયા માંથી એકજ પરિવારનાં ત્રણ ની અર્થી ઉઠતા ગામ આખુ હિબકે ચડયું હતુ

દુર્ઘટના અંગે મળતી વિગત મુજબ મુળ સાયલાનાં વડીયા ગામના વતની અને છેલ્લા ઘણા સમયથી થાનમાં રહેતા તળપદા કોળી અશોકભાઈ સવજીભાઇ દુમાદીયા (ઉ. વ. આશરે ૩૫) તેમના બે પુત્ર નિલેષભાઇ (ઉ.વ. ૧૨), રતુભાઇ (ઉ.વ. ૧૦) સાથે સાયલાનાં વાટાવચ્છ ગામે સમાજનાં સમુહ લગ્નમાં ગયેલ હતા મોડી સાંજે બંન્ને પુત્ર સાથે પિતા બાઇક ઉપર પરત થાન આવી રહેલ અંદાજે ૮ કલાકના સમયે થાન નજીક ખાખરાળી ચોકડી પાસે પહોચતા પુર ઝડપે આવી રહેલ રાજસ્થાન પાર્સિગની ટ્રકે ટક્કર મારતા ત્રણેય ફંગોળાઇ પટકાતા ગંભીર ઇજા પહોચતા ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નિપજયા હતા.

અકસ્માત સર્જાતા આસપાસના લોકો દોડી આવ્યા હતા પરંતુ તે પહેલા અકસ્માત સર્જનાર ટ્રક ચાલક તેની ટ્રક મુકીને નાસી છુટેલ હતો બનાવની પોલીસને જાણ થતા ઘટના સ્થળે પહોચેલ હતી મૃતદેહોને પીએમ માટે હોસ્પિટલ ખસેડેલ હતા જયા આગળ કોળી સમાજનાં આગેવાનો અને પરિવારનાં લોકો દોડી આવેલ હતા. બીટ જમાદાર ભોપાભાઇએ પીએમ કરાવી જરૂરી કાગળો કરી મૃતદેહને પરિવારને સોપેલ હતો.

ત્રણેય મૃતકોને તેમના વતન લઈ જવામાં આવેલ હતા મંગળવારનાં સવારે સાયલાનાં વડીયા ગામે એકજ ઘરમાંથી ત્રણ અર્થીઓ નિકળતા નાનકડુ ગામ હિબકે ચડેલ હતુ અને દુમાદીયા પરીવારમાં કરૂણાંતિકા સાથે આક્રંદ છવાયેલ હતો.

ગઈ કાલે સુરેન્દ્રનગર જિલ્લામા વિવિધ અકસ્માતમાં પાંચના મોત નીપજયા છે ત્યારે ગઈ કાલે મોડી રાત્રે એક અજાણ્યા ટ્રક દ્વારા બાઈકને ટકર મારી હડફેટે લીધા હતા ત્યારે આ બાઈક ઉપર સવાર પિતા અને બે પુત્રોના ઘટના સ્થળે જ મોત નિપજયા હતા.

ત્યારે અડફેટે લેનાર ટ્રક ચાલક અકસ્માત સર્જી નાસી છૂટ્યો હતો.ત્યારે પોલીસ દ્વારા ટ્રક કબજે કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

સુરેન્દ્રનગર જીલ્લામા ગઈકાલે અકસ્માતોની હાર માળા સર્જાઈ હતી ત્યારે સુરેન્દ્રનગર જીલ્લામાં ગઈકાલે એકજ દિવસમા અકસ્માતમા પાંચ જિંદગી હોમાઈ હતી.

ત્યારે ગઈ કાલે બપોરનાં સમયે સુરેન્દ્રનગર જીલ્લાના ઠેઢકી પાસે અકસ્માતમા ૨ ના મોત નીપજયા હતા. મોડી રાત્રે ફરી એકવાર અકસ્માત મા-પિતા અને બે પુત્રો સહિત ત્રણના મોત નીપજયા હતા. સુરેન્દ્રનગર જીલ્લામા ગઈકાલે પાંચ જિંદગી અકસ્માતમા હોમાઈ હતી.

(3:36 pm IST)