Gujarati News

Gujarati News

News of Tuesday, 5th February 2019

શુક્રવારે જામનગરમા ખેડૂત અધિકાર સંમેલનઃ હાર્દિક પટેલ,જીજ્ઞેશ મેવાણી, પ્રવિણ રામ સભા ગજવશે

ઠેબા ચોકડી પાસે અખિલ ભારતીય પંચાયત પરિષદ-કિસાન ક્રાંતિ સેનાનુ આયોજન

જામનગરઃ સંમેલન પૂર્વે અખિલ ભારતીય પંચાયત પરિષદ દ્વારા ખેડૂત અધિકાર સંમેલનની માહિતી આપો પત્રકાર પરિષદ યોજાઇ હતી... જેમાં જેન્તી સભાયા (કોશધ્યક્ષ-અખિલ ભારતીય પંચાયત પરિષદ) અને દિગુભા જાડેજા (અખિલ ભારતીય પંચાયત પરિષદ,જામનગર) સહિતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. (તસ્વીરઃ કિંજલ કારસરીયા, જામનગર)(૭.૨૭)

 જામનગર તા.૫: તા.૮ને શુક્રવારે બપોરે ૨ વાગ્યાથી જામનગર જીલ્લાના ઠેબા ચોકડી પાસે અખિલ ભારતીય પંચાયત પરિષદ અને કિસાન ક્રાંતિ સેનાના નેજા હેઠળ ખેડૂત અધિકાર સંમેલનનું આયોજન કરવામાં આવેલ છે.

આ સંમેલનનો મુખ્ય હેતુ સરકાર દ્વારા ખેડૂતોને જે રીતે હેરાનગતિ કરવામાં આવે છે. તથા ખેડૂતોના પાકના પૂરતા ભાવ ન મળવા અને વીમા મેળવવામાં પડતી તકલીફો તેમજ અન્ય ઘણી સમસ્યાઓ જે સરકાર દ્વારા જાણી જોઇને ખેડૂત ઉપર થોપવામાં આવે છે. તેના વિરૂદૂધમાં ખેડૂતને જાગૃત કરવા અને પોતાના અધિકાર શું છે. તે સમજાવવા માટે આ બિનરાજકીય રીતે સંમેલનનું આયોજન કરેલ છે.

આ સંમેલનમાં મુખ્ય અતિથી તરીકે યુવા નેતા, ખેડૂત આગેવાન હાર્દિક પટેલ, ધારાસભ્ય જીગ્નેશ મેવાણી, જન અધિકાર મંચના નેતા પ્રવીણ રામ, ખેડૂત આગેવાન સાગર રબારી અખિલ ભારતીય સંઘ સભાના અધ્યક્ષ સ્વામી ચક્રપાણી મહારાજ અને કલ્કી મઠના આચાર્ય આચાર્ય પ્રમોદ કૃષ્ણમ ઉપસ્થિત રહેશે.

આ સંમેલનમાં આજુ-બાજુ અને જામનગર જીલ્લાના સમગ્ર લોકોને જાહેર આમંત્રણ આપવામાં આવેલ છે. અને શાશકપક્ષ અને વિપક્ષના નેતાશ્રીઓને આ મુદ્દા સાથે જોડાવા આમંત્રણ પાઠવેલ છે.

સફળ બનાવવા અખિલ ભારતીય પંચાયત પરિસદના રાષ્ટ્રીય મહામંત્રી જેન્તીભાઇ સભાયા, જામનગર જીલ્લા પ્રમુખ વીરેન્દ્રસિંહ (દિગુભા) જાડેજા, જામનગર જીલ્લા પાસ સમિતિના અંકિત ઘાડિયા, પ્રવીણભાઇ તથા સામાજિક આગેવાનોમાં અનિલભાઇ વાઘેલા, અશ્વિનભાઇ ગલાણી, ધીરૂભાઇ સભાયા, દિનેશભાઇ સંઘાણી, કલ્પેશભાઇ સાવલિયા જહેમત ઉઠાવી રહ્યા છે

(3:21 pm IST)