Gujarati News

Gujarati News

News of Wednesday, 4th December 2019

વિડીયો કોલીંગ બાદ થાનમાં ભાનુએ ફાંસો ખાઇ જીવ દીધો, પીયાવામાં મંગેતર સુરેશે ઝેર પી લીધું: ગંભીર

સુરેશના કુટુંબીજનો કહે છે-બે વર્ષ પહેલા સગાઇ થઇ'તી પણ યુવતિના પરિવાર તરફથી લગ્નની તારીખ નક્કી ન થતાં બંને કંટાળી ગયા'તાઃ યુવતિને મંગેતર સુરેશ સાથે ફોન પર વાતચીતમાં ચડભડ થયા બાદ માઠુ લાગતાં પગલુ ભર્યાની થાન પોલીસમાં નોંધ

રાજકોટ તા. ૪: ચોટીલાના પિયાવામાં રહેતાં કોળી યુવાન અને થાન રહેતી તેની મંગેતરે પરમ દિવસે વિડીયો કોલીંગ કર્યા બાદ મંગેતરે ગળાફાંસો ખાઇ લેતાં અને યુવાને ઝેર પી લેતાં તેની મંગેતરનું મોત નિપજ્યું હતું, જ્યારે યુવાનને સારવાર માટે બોટાદ અને ત્યાંથી રાજકોટ ખસેડવામાં આવ્યા છે. બે વર્ષ પહેલા સગાઇ થઇ ગઇ હતી. પરંતુ યુવતિના પરિવારજનો લગ્નમાં સમય લગાડતાં હોઇ બંનેએ કંટાળીને આ પગલુ ભર્યાનું યુવાનના પરિવારજનોએ જણાવ્યું હતું. જો કે થાન પોલીસમાં થયેલી નોંધ મુજબ યુવતિને મંગેતર સાથે ફોનમાં વાતચીત વખતે ચડભડ થતાં માઠુ લાગી જતાં આ પગલું ભરી લીધું હતું.

બનાવની જાણવા મળેલી માહિતી મુજબ ચોટીલાના પિયાવા ગામે રહેતાં સુરેશ ચોથાભાઇ જમોડ (ઉ.૨૨) નામના કોળી યુવાને પરમ દિવસે સાંજે ચારેક વાગ્યે તેની વાડીએ ખડ બાળવાની દવા પી લેતાં બોટાદ ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે ચોટીલા પોલીસને જાણ કરી છે.

સુરેશ પેટ્રોલ પંપમાં નોકરી કરે છે અને બે બહેન તથા ચાર ભાઇમાં નાનો છે. તેના કુટુંબીજનોના કહેવા મુજબ સુરેશની સગાઇ થાન ગામની ભાનુ સાબરીયા સાથે બે વર્ષ પહેલા થઇ છે. પરંતુ ભાનુના પરિવારજનો લગ્નની તારીખ નક્કી કરતાં ન હોઇ સુરેશ અને ભાનુ કંટાળી ગયા હતાં. અગાઉ એકાદ વખત ભાનુ તેના ઘરેથી પીયાવા પણ આવી ગઇ હતી. પરંતુ તેને સમજાવીને પરત મુકી આવ્યા હતાં. એ પછી પણ બંનેના લગ્નની તારીખ નક્કી કરવામાં આવતી ન હોઇ બંને કંટાળ્યા હતાં.

દરમિયાન તા. ૨ના ભાનુએ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધા બાદ સાંજે ચારેક વાગ્યે સુરેશ વાડીએ હતો ખડની દવા પી લીધી હતી. સુરેશને બોટાદની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયો છે. સુરેશના કુટુંબીજનોના કહેવા મુજબ વિડીયો કોલીંગ કર્યા બાદ બંનેએ મરી જવાનો નિર્ણય કર્યો હતો અને ભાનુ ફાંસો ખાઇ ગઇ હતી તથા સુરેશ ઝેર પી ગયો હતો. થાનના પીએસઆઇ એન. પી. ચાવડા  અને ચોટીલા પોલીસ આ બનાવમાં વિશેષ તપાસ કરે છે.

થાન પોલીસમાં થયેલી નોંધ મુજબ ભાનુએ તા. ૨ના વહેલી સવારે ગળાફાંસો ખાઇ આપઘાત કર્યો હતો. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યા મુજબ ભાનુની પિયાવાના સુરેશ સાથે સગાઇ થઇ હતી. રાતે બંને વચ્ચે ફોન પર વાતચીત દરમિયાન બોલાચાલી થતાં લાગી આવતાં ભાનુએ આ પગલું ભર્યુ હતું.

(11:59 am IST)