Gujarati News

Gujarati News

News of Monday, 4th November 2019

વાંકાનેરમાં સૈયદ પીર હસન કબીરૂદ્દીન કુફ્રશિકન (રહે.)નો ઉર્ષ યોજાયો

 વાંકાનેર તા.૪: ગુજરાતમાં વસતા મોમીન સમાજના પૂર્વજોને દિને ઇસ્લામની હિદાયત આપનાર, ૧૪મી સદી (હિજરી સદી ૮)માં  જન્મેલા સુફી સંત સૈયદ પીર હસન કબીરૂદ્દીન કુફ્રશિકન (રહે.) તથા મોમીન સમાજના ધર્મગુરૂ સુફીસંત પીર સૈયદ અબ્દુલ મુત્તલીબ પીરઝાદા (રહે.) (માજી ધારાસભ્ય-વાંકાનેર)ના ઉર્ષ મુબારકની ઉજવણી પીર સૈયદ મીરૂમીયાં બાવા (રહે.)ની દરગાહ, ખાનકાહે હુસૈની ખાતે કરવામા આવી હતી.  સાંજે ઇશાની નમાઝ બાદ કરવામા આવી.

આ મુબારક મૌકા પર મોમીન સમાજના ધર્મગુરૂ અને ખાનકાહે હુસૈની-વાંકાનેરના સજ્જાદાનશીન સુફીસંત પીર સૈયદ ખુરશીદ હૈદર પીરઝાદા ઉર્ફે મીરસાહેબ બાવા (માજી ધારાસભ્ય-વાંકાનેર)એ પોતાના દિકરાઓ સૈયદ શાઇર એહમદ પીરઝાદા અને સૈયદ શકીલએહમદ પીરઝાદાને ચિશ્તી સુફી સિલસિલાની ખિલાફત અતા કરી પોતાના ખલીફા તરીકે જાહેર કર્યા છે. તેમજ મોટા પુત્ર સૈયદ શાઇર એહમદ પીરઝાદાને ખાનકાહે હુસૈની-વાંકાનેરના નાયબ સજ્જાદા અને વલીઅહદ તરીકે જાહેર કર્યા છે.

આ મુબારક મૌકા પર વાંકાનેરના યુવરાજ કેસરી દેવસિંહજી ઝાલા, પીર સૈયદ મોમીન શાહ બાવા (રહે.)ના દિકરા સૈયદ સફદરમસુર પીરઝાદા, વાંકાનેરના ધારાસભ્ય સૈયદ મોહંમદ જાવેદ પીરઝાદા, સૈયદ ઇરફાન પીરઝાદા, સૈયદ ડો.એજાજ પીરઝાદા, સૈયદ ઇન્તેખાબ આલમ પીરવઝાદા, સૈયદ મોઇન મંજુરહુસૈન પીરઝાદા સહિત પીરઝાદા પરિવારના સભ્યો ઉપરાંત સૈયદ અસગરઅલી ચિશ્તી-સુરત, ખાનકાહે ચિશ્તીયા નિઝામીયા-સુરતના સજજાદાનશીન સૈયદ બદરૂદ્દીન ચિશ્તી, સૈયદ ઝહીરૂદ્દીન ચિશ્તી, ખ્વાજા નસીરૂદ્દીન ચિશ્તી-શાહીબાગ અમદાવાદ, સૈયદ શમસુદ્દીન પીરજાદા-જીંજુડા, ખ્વાજા ગરીબ નવાઝ (રહે.) દરગાહ અજમેરાના ખાદીમ સૈયદ જીશાન કપ્તાન, ખ્વાજા નિઝામુદ્દીન ઔલીયા (રહે.) દરગાહ-દીલ્લીના ખાદીમ સૈયદ કામરાન ચિશ્તી, જયંતિલાલ સોની તથા મહેન્દ્રસિંહ ઝાલા ઉપસ્થિત રહ્યા હતાં.

ઉપરાંત વાંકાનેર, ટંકારા, સુરત, ધોળકા, વસો, નડિયાદ, ખેડા સહિત સમગ્ર ગુજરાતમા વસ્તા મોમીન સમાજના આગેવાનો તથા મોટી સંખ્યામાં મોમીન મુસ્લિમ અકીદતમંદોએ હાજર રહી મુબારકબાદ પાઠવી હતી. આ મુબારક મૌકા પર રામપુર (યુ.પી.)ના કવ્વાલ સરફરાઝ રાજા અને પાર્ટીએ મહેફીલે શમાના કાર્યક્રમમાં સુફી કવ્વાલી પેશ કરી હતી.

(11:56 am IST)