Gujarati News

Gujarati News

News of Tuesday, 4th May 2021

ગોંડલ સૈનિક સોસાયટીના યુવાનની નિર્મમ હત્યામાં બાળ આરોપી ઝડપાયો અન્ય ત્રણની શોધ

પાનની કેબીન પાછળ હત્યા કરી આરોપીઓ ડેમમાં નહાવા પહોંચ્યા હતા ફરી રાત્રે આવી લાશને ઠેકાણે લગાવીઃ આરોપીઓ એ એસટી બસ ઉપર પથ્થર મારો કર્યો હતો જેમાં પોલીસ ને અજયસિંહ એ નામ આપી દેતા તેનો ખાર રાખી હત્યા નિપજાવી

તસ્વીરમાં પત્રકારોને હત્યા પ્રકરણ અંગે માહિતી આપવા અધિકારી નજરે પડે છે. (તસ્વીર : ભાવેશ ભોજાણી, ગોંડલ)

ગોંડલ, તા. ૪ : ગોંડલ સૈનિક સોસાયટીમાં રહેતા યુવાન ને ૩૦થી વધુ તીક્ષ્ણ હથિયારના ઘા મારી મોતને ઘાટ ઉતારી કૂવામાં લાશ ફેંકી દીધાની ઘટનામાં પોલીસે યુવાનના મિત્ર બાળ આરોપીને ઝડપી લઇ પૂછપરછ શરૂ કરતા પોપટ બની ગયેલાં આરોપી એ વટાણાં વેરી નાખતાં પોલીસ પણ ચોંકી ઉઠી હતી  હત્યા માં મૃતકનાં  ત્રણ મિત્રો જ  સંડોવાયેલા હોય તપાસના ચક્રોગતિમાન કરી નાશી છુટેલાં હત્યારાઓને ઝડપી લેવાં દોડધામ શરું કરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ શહેરની સૈનિક સોસાયટીમાં રહેતા અજયસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા (ઉ.વ. ૨૧) ની ગત તારીખ ૨૫ એપ્રિલ ના છરીઓના ૩૦થી વધુ ઘા હત્યા કરાયેલ હાલતમાં કૂવામાંથી લાશ મળી આવ્યાં બાદ ડીવાયએસપી પ્રતિપાલસિંહ ઝાલા, પીઆઇ એસ એમ જાડેજા સહિતનાઓએ તપાસના ચક્રોગતિમાન કરી સૈનિક સોસાયટીમાં રહેતા અજયસિંહ ના મિત્ર બાળ આરોપી ને પોલીસે ઝડપી લઇ પૂછપરછ કરતા તે પોપટ બની ગયો હતો અને સઘળી હકીકત જણાવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી અજયસિંહની હત્યામાં તેના જ મિત્રો જયવીરસિંહ જયદીપસિંહ જાડેજા, વિવેક ઉર્ફે ટકો મહેન્દ્રભાઈ બારડ તેમજ સચિન રસિકભાઈ ધડુક હત્યા બાદ નાસી છૂટ્યા હોય તેને ઝડપથી પોલીસે ચક્રોગતિમાન કર્યા છે.

પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે ગત જાન્યુઆરીમાં રામ દ્વાર પાસે એસટી બસ ઉપર પથ્થરમારો થવા પામ્યો હતો જેમાં અજયસિંહ રાજેન્દ્રસિંહ જાડેજાએ ઉપરોકત આરોપીઓના નામ આપ્યા હોય જેનો ખાર રાખી અજયસિંહ મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો બસ પર પથ્થરમારાની ઘટના બાદ ઉપરોકત આરોપીઓએ અજયસિંહ દારુ વેચતો હોવાનું પોલીસને જણાવી તેની ઘરે દરોડા પડાવ્યા હતા અને વિદેશી દારૂનો જથ્થો પણ ઝડપાયો હતો બાદમાં અજયસિંહ ના બહેન રાજકોટ ખાતે સ્પા ચલાવતા હોય અજયસિંહ ને ત્યાં લઈ ગયેલા હતા પરંતુ હાલ કોરોનાની સ્થિતિમાં રાજકોટમાં લોકડાઉન ની સ્થિતિ હોય અજયસિંહ તેની માતા પાસે ગોંડલ આવ્યો હતો જેની જાણ આરોપીઓને થતાં અજયસિંહ ની તલાશ માં રહેલા આરોપીઓએ તારીખ ૨૫ના રોજ અજયસિંહની હત્યા કરી હતી.

અજયસિંહ ગુમ થયા બાદ રાજકોટ સ્થિત તેમના બહેન હિનાબા એ પોલીસ ફરિયાદમાં ઉપરોકત આરોપીઓના શકમંદ તરીકે નામ આપતા પોલીસ નું કામ સરળ બન્યું હતું અને પોલીસે તુરંત સગીર આરોપી ને ઉઠાવી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા નાસી છુટેલા મુખ્ય ત્રણે આરોપીઓને શોધવા પોલીસે અલગ અલગ ટીમ બનાવી શોધખોળ શરૂ કરી છે.

આરોપીઓએ સૈનિક સોસાયટીની પાછળ આવેલ પાનની કેબીનની પાછળ અજયસિંહ ને વિવેક અને સચિને પકડી રાખ્યા હતા જ્યારે જયવીરસિંહએ ૩૦થી વધુ છરીના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધા હતા બાદમાં લાશને બાવળની ઝાડીમાં નાખી ડેમ ખાતે કપડાં ધોવા અને નહાવા પહોંચી ગયા હતા મોડીરાત્રીના ફરી સ્થળ ઉપર આવી લાશને પથ્થર સાથે બાંધી કૂવામાં નાખી દીધી હતી લાશને ઠેકાણે પાડતી વેળાએ બાળ આરોપી હાજર ન હતો બીકને લીધે ઘરે જ સુઈ ગયો હતો.

(4:15 pm IST)