Gujarati News

Gujarati News

News of Saturday, 4th April 2020

સુરેન્દ્રનગર સબ જેલના હિન્દુ – મુસ્લિમ મળી ૧૧૬ બંદીજનોએ રામનવમીના ઉપવાસ કરી તેમના ભોજનની બચત રકમ મુખ્યમંત્રી રાહત ફંડમાં આપી

વઢવાણ, તા.૪: ભારત વર્ષના એક નાનકડા રાજયના એક કલ્પનાશીલ વ્યકિતએ એક હાથમાં પોતાની જાન અને બીજા હાથમાં આદર્શોનો ઝંડો પકડીને કરેલા કાર્ય ઉપરથી ૧૯૫૭ ના વર્ષમાં એક ફિલ્મ બની હતી. 'દો આંખે બારહ હાથ'. જેલમાં બંધ બંદીજનોના જીવન પરિવર્તન ઉપર આધારિત આ ફિલ્મ જેવી જ ઘટના સુરેન્દ્રનગર જિલ્લામાં આકાર પામી છે.

સબ જેલના અધિક્ષકશ્રી એચ.આર. રાઠોડે બંદીવાન ભાઈઓની સમાજ પ્રત્યેની ઉદાત્ત ભાવનાની વિગતો આપતા જણાવ્યું હતું કે, હાલમાં આ સબ જેલમાં વિવિધ ધર્મ-સમાજના ૧૧૬ જેટલા બંદીવાન ભાઈ - બહેનો વિવિધ ગુન્હા સબબ સજા ભોગવી રહયા છે. આ ભાઈ - બહેનોને જયારે ખબર પડી કે કોરોના રૂપી વાયરસે સમગ્ર વિશ્વના અનેક લોકોને મોતના મુખમાં ધકેલી દીધા છે. જેના સામે લડવા ભારત સરકાર અને રાજય સરકાર તેના નિષ્ઠાવાન પ્રયાસો કરી રહી છે, ત્યારે આ બંદીવાનોએ પણ કોરોના સામેના જંગ લડવા રાજય સરકારને આર્થિક રીતે સહયોગી બનવાનો નિર્ધાર કર્યો. આ માટે સબ જેલના ૧૨ બંદીજનોએ ભેગા મળી તેમના ખાતામાં જમા રકમમાંથી કુલ ૫૧૦૦/- રૂપિયા મુખ્યમંત્રીના રાહત ફંડમાં આપ્યા છે, જયારે બાકી બંદીજનોએ પણ આર્થિક રીતે મદદરૂપ થવા પોતાની પાસે જરૂરી રકમ ન હોવાથી રામનવમી નિમિત્ત્।ે એક દિવસનો સંપૂર્ણ ઉપવાસ કરીને તેમના બંન્ને ટાઈમના ભોજનના બચેલા રૂપિયા મુખ્યમંત્રીશ્રીના રાહત ફંડમાં આપ્યા છે.

બંદીવાન ભાઈ-બહેનોને રાષ્ટ્ર ભાવનાથી ગદ્દગદીત બનેલા જેલ અધિક્ષકશ્રી રાઠોડે પણ માનવીય અભિગમ દાખવી ઉપવાસી તમામ બંદીવાન ભાઈ-બહેનોને તેમના ખર્ચે સવાર-સાંજ ફળાહાર કરાવ્યો હતો.

અધિક્ષકશ્રી રાઠોડે વધુમાં ઉમેર્યું હતું કે, આ સબ જેલમાં ૯૩ હિન્દુ અને ૨૩ મુસ્લીમ સહિતના ૧૧૬ જેટલા બંદીવાન ભાઈ-બહેનો છે. જે તમામે રામનવમીના દિવસે ઉપવાસ રાખીને રાષ્ટ્ર ઉપર આવી પડેલી આ આપત્તિ સમયે રાજય સરકારને તેમના કાર્યમાં સહયોગી બની તેમનામાં રહેલી રાષ્ટ્ર ભાવનાના દર્શન કરાવ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, એડી. ડી.જી.પી. ડો. કે. એલ. એન. રાવના માર્ગદર્શન હેઠળ સુરેન્દ્રનગર સબ જેલ દ્વારા ૧૨ બંદીવાન ભાઈઓની બચત રકમ રૂપિયા ૫૧૦૦/- તેમજ હિન્દુ –મુસ્લીમ સહિતના ૧૧૬ બંદીવાન ભાઈ-બહેનોએ કરેલા ૧ દિવસના ઉપવાસના કારણે તેમણે બે સમય ન કરેલા ભોજનની બચત રકમ રૂપિયા ૬૦૦૦/- ની સાથે સબ જેલના તમામ પોલીસ કર્મીઓના ૧ દિવસના પગારની રકમ તેમજ સબ જેલના જેલ સહાયકશ્રી ઋષિરાજસિંહ સુરના ૧ માસના પગારની રકમ મળી કુલ રૂપિયા ૫૪,૦૦૦ ની રકમનો ફાળો એકત્રિત કરી મુખ્યમંત્રી રાહત ફંડમાં આપવામાં આવ્યો છે.

(1:11 pm IST)