Gujarati News

Gujarati News

News of Thursday, 4th February 2021

પોલીસની દસ દિવસની તપાસમાં ચોંકાવનારો ખુલાસો

ભાવનગરના સિંધી વેપારી યુવાન તળાજામાંથી ગુમ થયા બાદ મહુવાની મહિલા સાથે છેલ્લે જોવા મળ્યા

ભાવનગર, તા.૪: ભાવનગરના સિંધી વેપારી યુવાન ગત તા.૨૩ના રોજ તળાજા ખાતે ધંધાર્થે આવેલ હતા. આ વેપારી યુવક તળાજાથી ગુમ થયાની અહીં પોલીસે નોંધેલ ફરિયાદ બાદ દસ દિવસની તપાસમાં ચોંકાવનારો ખુલાસો પોલીસે કર્યો છે કે યુવક મહુવાની એક મહિલા સાથે સંપર્કમાં હતો ની પુષ્ટિ મળી છે.જો કે મહિલા હાલ મુંબઈ છે. યુવકનો પત્તો ન મળતા યુવકના પરિવારજનોમાં ચિંતા વધતી જાય છે.

બનાવ અનુસંધાને તળાજા પો.સ.ઇ જે કે મૂળિયા પાસે થી જાણવા મળતી વિગતો મુજબ વેપારી ચિંતન ઇશ્વરભાઈ રાજાઈ ઉ.વ ૨૩ એ તળાજા પોલીસ મથકમાં દસ દિવસ પહેલા પોતાની સાથે વ્યવસાય કરતા કુટુંબી ભાઈ પાર્થ જયેશભાઇ રાજાઈ ઉ.વ ૨૧ના કામ સબબ તળાજા ગયેલ. ત્યાં થઈ પાલીતાણા જવાના હતા. પણ વેપારી યુવક પાલીતાણા પહોંચેલ નહિ. તળાજા પોલિસે સિંધી વેપારી ગુમ થયા ની નોંધ કરી મોબાઇલ લોકેશનના આધારે તપાસ હાથ ધરી હતી.

આ તપાસમાં પોલીસને જાણવા મળ્યુ હતુંકે યુવક મહુવાની એક મહિલાના સંપર્કમાં છે. જોકે હાલ એ મહિલા મુંબઈ સ્થિત તેના પિયરમાં છે. બીજી તરફ યુવકનું કોઈજ લોકેશન કે પત્તો નથી. યુવકનો મોબાઈલ પણ લાગતો નથી. જેમ જેમ દિવસો વીતતા જાય છે તેમતેમ યુવકના પરિવારજનોમાં ચિંતા વધતી જાય છે. શંકા એવી બળવત્તર બનતી જાય છે કે યુવક સાથે કોઈ અજુગતું બનાવ તો નથી બન્યો ને.પોલીસે જણાવ્યું હતુંકે જે મહિલા યુવકના સંપર્કમાં હતી તેને અહીં પૂછપરછ માટે બોલાવવામાં આવેલ છે. પરિવારજનો ઈચ્છે છે કે પોલીસ ઝડપી અને કડક કાર્યવાહી કરે.

(11:37 am IST)