Gujarati News

Gujarati News

News of Saturday, 4th January 2020

આયુષ્‍માન કાર્ડમાં રાજકોટ અને પંચમહાલ જિલ્લામાં જબરૂ કૌભાંડ ખુલ્‍યા બાદ કચ્‍છના ગાંધીધામમાં નોંધાઇ ફરિયાદઃ એક જ પરિવારના 1700 કાર્ડ નીકળેલ

અમદાવાદ :સરકારના આયુષ્યમાન કાર્ડમાં મોટું કૌભાંડ સામે આવ્યું છે. ત્યારે કચ્છના ગાંધીધામ પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધાઈ છે. જેમાં એક જ પરિવારના 1700 કાર્ડ બનાવી દેવાની ઘટના સામે આવી છે. રાજકોટ અને પંચમહાલ જિલ્લામાં પણ આજ પ્રકારે આયુષમાન કાર્ડનું કૌભાંડ આચરવામાં આવી રહ્યું હોવાની આશંકા સેવાઈ રહી છે. બે મહિનામાં રાજ્યના આરોગ્ય વિભાગે ગુજરાતમાંથી આયુષ્યમાન કાર્ડના 15,000થી વધુ કાર્ડ બ્લોક કર્યા છે. આરોગ્ય કમિશનરના પદ પર જયંતિ રવિ હતા, ત્યારે એટલે કે 27 જૂન 2019ના રોજ તમામ જિલ્લા કલેક્ટરોને પત્ર લખીને આયુષ્યમાન કાર્ડમાં ચાલી રહેલી ગેરરીતિ રોકવા માટે પાકી કરી હતી. રાજ્ય સરકારની ભલામણોને આધારે જ આયુષ્યમાન કાર્ડમાં ફિંગરપ્રિન્ટ્સ અને બાયોમેટ્રિક પદ્ધતિ દાખલ કરવામાં આવી હોવાનું સૂત્રોએ માહિતી આપી છે.

આરોગ્ય સચિવે કરી સ્પષ્ટતા...

આયુષ્યમાન કાર્ડના સંદર્ભે આરોગ્ય અગ્ર સચિવ જંયતિ રવિએ સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, 24 જુનના રોજ સરકારને ખબર પડી હતી. પંચમહાલમાં 24 જૂન, 2019ના રોજ પોલીસ ફરિયાદ કરી હતી. ભાવનગરમાં પણ પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. દિલ્હીને પણ જાણ કરવામાં આવી હતી. દિલ્હીના પ્રતિનિધિઓ આવ્યાં હતાં અને તેઓને માહિતગાર કરવામાં આવ્યા હતા. 6 લોકોની બદલી કરવામાં આવી હતી અને બેની નોકરી છોડી દેવામાં આવ્યા હતા. કચ્છમાં 1700ના કેસની ફરિયાદ નોંધાવી છે. રાજકોટમાં 24 નવેમ્બર, 2019ના રોજ પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. ત્યારે ડેટા એન્ટ્રી ઓપરેટર માંડીને મેડિકલ ઓફિસર સુધી પોલીસ ફરિયાદ સુધીના પગલાં લેવાશે. જે દર્દીએ ખોટો લાભ લીધો હશે તો તેની પાસેથી રૂપિયા વસૂલવામાં આવશે. ગ્રામ પંચાયતમાં 13 હજારથી વધુ ડેટા એન્ટ્રી ઓપરેટર તરીકે કામ કરે છે તેવું આ કામ કરી રહ્યા છે. શાળ આરોગ્ય કાર્યક્રમ અંતર્ગતની વાત શરૂ કરી છે.

રાજકોટ અને પંચમહાલમાં પણ મોટું કૌભાંડ

રાજકોટ અને પંચમહાલ જિલ્લામાં પણ આજ પ્રકારે આયુષમાન કાર્ડનું કૌભાંડ આચરવામાં આવી રહ્યું હોવાની આશંકા સેવાઈ રહી છે. પંચમહાલ જિલ્લાની વસ્તીના આધારે કુલ 208000 આયુષ્માન કાર્ડ આરોગ્ય વિભાગ દ્વારા ઈશ્યુ કરવામાં આવ્યા છે. સરકારી યોજનાનો ખોટો લાભ લેવા કેટલાક પ્રધાનમંત્રી આયુષ્માન મિત્રો દ્વારા ખોટા આયુષ્માન કાર્ડ ઇશ્યુ કર્યા હોવાની માહિતી મળતાં આરોગ્ય નિમાયકે તપાસના હુકમ કર્યા હતા. જિલ્લાના આયુષ્માન કાર્ડના દસ્તાવેજોનું કાર્ડને વેરીફીકેશન કરવામાં આવ્યું હતું. આયુષ્માન કાર્ડના વેરીફીકેશનમાં જિલ્લામાંથી 142 આયુષ્માન કાર્ડ બોગસ મળી આવ્યા હતા. તે તમામ બોગસ કાર્ડને રદ કરીને આરોગ્ય વિભાગ દ્વારા પ્રધાનમંત્રી આયુષ્માન મિત્રો વિરુદ્ધ કાર્યવાહી કરવા નોટિસ ફટકારી હતી. સરકાર દ્વારા આયુષ્યમાન કાર્ડ ની નામોની યાદી જાહેર કરાઈ હતી. જેમાં કુટુંબના એક સભ્ય નામ આવેલ હોય તેમના રેશનકાર્ડમાં આવેલ બધા સભ્ય નામ આયુષ્યમાન કાર્ડમાં એડ થઈ શકે છે. પણ જાહેરાત થયેલ નામમાં બહારની વ્યક્તિનુ નામ ઉમેરીને પ્રધાનમંત્રી આયુષ્યમાન મિત્રએ બોગસ આયુષ્યમાન કાર્ડ બનાવી દીધા હતા. જેનું આરોગ્ય ના આઈટી સેલે આવા બોગસ કાર્ડને પકડી પાડ્યા હતા. પંચમહાલ જિલ્લામાં આયુષ્માન કાર્ડના વેરીફીકેશનમાં કાલોલ તાલુકામાંથી 51, ગોધરા તાલુકામાંથી 15, હાલોલ તાલુકામાંથી 22 તથા શહેરા તાલુકામાંથી 54 આયુષ્માન કાર્ડ મળી આવ્યા હતા. 

ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકાર દ્વારા દેશમાં ગરીબી રેખા હેઠળ આવતા પરિવારોને આરોગ્ય લક્ષી સેવાઓ વિના મૂલ્યે મળી રહે તે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવી હતી. આ યોજનામાં નાની મોટી મળીને 1807 બિમારીની સારવાર મફતમાં મળી રહે તે માટે સમાવેશ કર્યો છે.

(4:54 pm IST)