Gujarati News

Gujarati News

News of Thursday, 4th January 2018

ધોરાજીમાં રાઉન્ડ ધ કલોક પેટ્રોલીંગઃ એસ.ટી.ના રૂટ બંધ

અફવાઓથી દુર રહીને શાંતિ જાળવવા જીલ્લા પોલીસ વડા અંતરીપ સુદની અપીલ

ધોરાજીઃ ધોરાજીમાં એસ.ટી. બસ સળગાવવાના મામલામાં રાજકોટ જીલ્લા પોલીસ વડા અંતરીપ સુદ ધોરાજી દોડી આવ્યા અને અધિકારી સાથે બેઠક લીધી હતી.(તસ્વીર-અહેવાલઃ કિશોર રાઠોડ, ધર્મેન્દ્ર બાબરીયા-ધોરાજી)

ધોરાજી તા.૪ : મહારાષ્ટ્ર દલિત આંદોલનના પડઘા રાજકોટ જીલ્લાના ધોરાજી ખાતે પડયા હતા અને બુધવારે રાત્રીના ૮-૧પ કલાક આસપાસ રાજકોટ-પોરબંદર નેશનલ હાઇવે ભુખી ચોકડી પાસે રોકી પથ્થરમારો કરી ૧પ જેટલા પ્રવાસીઓને ઉતારી બસમાં પેટ્રોલ-કેરોસીન છાંટી આગ લગાડી નાસી ગયા હતા. જે ઘટનાના ઘેરા પડઘા પડયા હતા અને રાજકોટ જીલ્લા પોલીસ વડા અંતરીપ સુદ ગઇરાત્રીના ૧૦ વાગ્યે ધોરાજી ભુખી ચોકડી ખાતે આવ્યા હતા અને બનાવ અંગે જીણવટભરી જાતે માહિતી મેળવેલ હતી.

આ સાથે જેતપુરના ડીવાયએસપી દેસાઇ તેમજ ધોરાજીના પીઆઇ વી.એમ.ભોરણીયા, સીપીઆઇ કે.આર.રાવત તેમજ બે પીએસઆઇ ડીસ્ટાફ વિગેરે પોલીસની ટીમ સાથે કાયદો અને વ્યવસ્થા અંગે કડક સુચના આપેલ હતી અને રાતભર રાઉન્ડ ધ કલોક પેટ્રોલીંગ હાથ ધરવા જણાવેલ હતુ.

આ તકે જીલ્લા પોલીસ વડા અંતરીપ સુદએ પત્રકારો અમારા પ્રતિનિધિ કિશોરભાઇ રાઠોડને જણાવેલ કે મહારાષ્ટ્રમાં જે ઘટના બની છે ત્યારબાદ મહારાષ્ટ્રમાં પણ સંપૂર્ણ શાંતિ જળવાઇ છે ગુજરાતમાં આવો કોઇ બનાવ બનેલ નથી ત્યારે રાજકોટ જીલ્લામાં તમામ લોકોએ શાંતિ જાળવવા અપીલ  કરેલ હતી. અને લોકોએ કોઇ અફવાથી દોહરાવવુ નહી. તેમ લોકોને ખાસ અપીલ કરેલ હતી.

રાત્રીના જ પોરબંદર-રાજકોટ-ધોરાજી-જામનગર વિગેરે રૂટની એસ.ટી. બસના  તમામ રૂટની બસો જે તે બસ સ્ટેશન ખાતે રાત્રીના જ અટકાવી દિધેલ હતી અને સમગ્ર રાજકોટ જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા કથળે નહી તે માટે રાતભર પેટ્રોલીંગ કરવા તમામ પોલીસ સ્ટેશન ખાતે જીલ્લા પોલીસ વડાએ સુચના આપેલ હતી.

ધોરાજીમાં સંપૂર્ણ શાંતિ

આજે ગુજરાત બંધના એલાનના વાયરલ થયેલ મેસેજ વચ્ચે પણ ધોરાજી સંપૂર્ણ ખુલ્લુ રહેલ છે અને સંપૂર્ણ શાંતિ જળવાઇ રહેલ છે.

આ તકે ધોરાજીના ડે. કલેકટર તુષાર જોષી મામલતદાર જોષી અને પીઆઇ વી. એમ. ભોરણીયાએ સંયુકત યાદીમાં જણાવેલ કે ધોરાજીના તમામ નાગરીકો શહેરમાં શાંતિ જળવાઇ રહે. એ માટે કોઇ અફવાથી દોહરાવવુ નહી અને સરકારી મિલ્કતોને નુકશાન પહોંચાડવુ નહી આ બાબતે કોઇ હેલ્પ જોતી હશે તો તંત્ર સાબદુ છે. અને પોલીસને સરકાર આપવા અપીલ કરેલ હતી.

એસ. ટી. ના તમામ રૂટો બંધ - પેસેન્જરો પરેશાન...!

ધોરાજીમાં એસ. ટી. બસ સળગાવ્યાના મામલા બાદ પેસેન્જરોની સલામતી અને સરકારી મિલ્કતો એસટી બસને નુકશાન ન પહોંચે એ માટે સલામતીને ધ્યાનમાં રાખી જીલ્લા પોલીસ પણ અંતરીય સુદની સુચનાથી ધોરાજી-ઉપલેટા-જેતપુર ડેપો જુનાગઢ ડીવીઝનની તમામ બસો રાત્રીના જ સેવા બંધ કરી દેવાઇ હતી અને જયાં જયાં પેસેન્જરો અટકાયા હતા તે તમામ પેસેન્જરોને પોલીસે ખાનગી વાહનોમાં પહોંચાડી દીધા હતાં.અમદાવાદ-રાજકોટ-સુરત-પોરબંદર- સોમનાથ-જેતપુર-ઉપલેટા-જુનાગઢ વિગેરે તમામ રૂટની એસ. ટી. બસોના રૂટ ગઈકાલ રાત્રીના ૧૦ વાગ્યાથી જ બંધ કરી દેવાતા કાયમી અપડાઉન કરતા વિદ્યાર્થી, નોકરીયાતો, પ્રવાસીઓને ભારે મુશ્કેલી વેઠવી પડેલ હતી.

હાલમાં ધોરાજીમાં સંપૂર્ણ શાંતિ છે. પોલીસ અને સરકારી તંત્ર રાઉન્ડ ધ કલોક પેટ્રોલીંગ હેઠળ છે.

પોલીસને સંયમ જાળવવા આદેશ

ધોરાજીમાં ગઈકાલે એસ.ટી. બસને સળગાવવાના મામલાના પડયા સમગ્ર ગુજરાતમાં ઘેરા પડઘા પરંતુ ધોરાજી પોલીસે શહેરમાં કાયદો અને વ્યવસ્થા ખોરવાઈ નહી એ માટે તાત્કાલીક અસરથી કોઈની પણ અટકાયત કરી નથી... જ્યાં સુધી તપાસમાં કોઈ નામ ન ખૂલે ત્યાં સુધી કોઈને પકડવા નહી જેથી નિર્દોષ લોકોની જો શંકાના આધારે અટકાયત કરવામાં આવે તો ફરી અશાંતિ સર્જાય એટલે પોલીસ પણ સંયમ જાળવવાનો નિર્ણય લઈ રહી છે. હાલમાં એસ.ટી. સળગાવવાની ઘટનામાં કોઈની પણ અટક કરેલ નહી અને તપાસ ચાલુ છે તેમ ધોરાજી પોલીસ જણાવી રહી છે.

રપ થી ૩૦ અજાણ્યા શખ્સો સામે ડ્રાઇવરની ફરિયાદ

ધોરાજીમાં બુધવારે રાત્રીના રાજકોટ ઉપલેટા રૂટની એસ.ટી. બસ સળગાવવાના મામલે રાત્રીના એસ.ટી. બસના ડ્રાઇવર અતુલભાઇ કરમશીભાઇ લુણાગરીયા રહે.ઉપલેટાવાળાએ ધોરાજી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ લખાવેલ કે રાત્રીના ૮ વાગ્યા આસપાસ ભુખી ચોકડી પાસે રપ થી ૩૦ જેટલા અજાણ્યા શખ્સોએ બસ રોકી પથ્થરમારો કરી જલદ પ્રવાહી ફેંકી બસ સળગાવતા બસમાં મોટી નુકસાની થયેલ છે અને બસ ડ્રાઇવરને પણ ઇજા પહોંચી છે.

ઉપરોકત બાબતે ધોરાજીના પીઆઇ વી.એમ.ભોરણીયાની સુચનાથી રપ થી ૩૦ અજાણ્યા શખ્સો સામે ગુન્હો નોંધી જેની તપાસ પીઆઇ વી.એમ.ભોરણીયાએ રાખેલ છે.

હાલમાં બસ ડ્રાઇવરની ફરિયાદ ઉપરથી કોણે બસ સળગાવી જે બાબતે તપાસ ચાલુ છે જે નામો ખુલશે બાદ આરોપીઓની અટક કરવામાં આવશે. હાલમાં કોઇ આરોપીઓની અટક કરવામાં આવેલ નથી તેમ પીઆઇ ભોરણીયાએ જણાવેલ હતુ.

(4:22 pm IST)