Gujarati News

Gujarati News

News of Thursday, 3rd December 2020

ગોંડલના ચરખડી પાટીયા પાસે દોહિત્રની જાનમાં જવા નીકળેલા વૃધ્ધાનું અકસ્માતમાં મોત

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા. ૩ : અકસ્માત માટે કુખ્યાત બનેલા ગોંડલ નેશનલ હાઈવે ઉપર ચરખડી ના પાટીયા પાસે જૂનાગઢના વૃદ્ઘાને અજાણ્યા કારચાલકે હડફેટે લેતા આ સર્જાયેલ અકસ્માતમાં વૃદ્ઘાનું મોત નીપજયું હતું. જૂનાગઢના વૃદ્ઘા દોહિત્રની જાનમાં રાજકોટ જવા નીકળ્યા હતા અને અનંતની વાટે પહોંચી ગયા.

પ્રાપ્ત વિગતો મુજબ જૂનાગઢના જોષીપુરા માં રહેતા પ્રભાબેન બાબુભાઈ દેવમુરારી પુત્રી મમતાબેનના પુત્ર ધ્રુવ ની જાનમાં જુનાગઢથી રાજકોટ જવા ગાડી નંબર GJ11BR 6854માં બેસીને નીકળ્યા હતા સવારે છ વાગ્યે ચરખડીના પાટીયા પાસે ચા પાણી પીવા રોકાયા હતા અને રોડ ક્રોસ કરી રહ્યા હતા ત્યારે પૂરપાટ ઝડપે દોડી આવી રહેલ સ્વીફટ કાર GJ03LM 5691ના ચાલકે હડફેટે લેતા સર્જાયેલ અકસ્માતમાં પ્રભાબેન ગંભીર રીતે ઘવાતા સારવાર માટે ગોંડલ સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા પરંતુ સારવાર મળે તે પહેલાં તેમનું મોત નીપજયું હતું.

ઘટના અંગે પ્રભાબેનના પુત્ર કિરણકુમાર દ્વારા તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાર ચાલક વિરુદ્ઘ આઇપીસી કલમ ૨૭૯ ૩૦૪ તથા એમ.વી એકટ કલમ ૧૭૭ ૧૮૪ ૧૩૪ મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી અકસ્માત સર્જી કારચાલક માનવતા નેવે મૂકી નાસી ગયો હતો.

(11:22 am IST)