Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd November 2021

'મોર બની થનગાટ કરે'

છેલ્લા પાંચ દાયકાઓથી વિશ્વભરનાં ગુજરાતીઓના હૈયે વસનાર વિશ્વ વિખ્યાત લોકગાયક અભેસિંહ રાઠોડનો જન્મદિવસ

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી રચિત - સંશોધિત - સંપાદિત ગીતો - લોકગીતો - ભજનોને પોતાના કંઠ થકી જીવંત રાખવામાં લોકગાયક : અભેસિંહ રાઠોડનું અનન્ય અને વિશિષ્ટ પ્રદાન છે : માત્ર ૮ વર્ષની વયે... બાલ્યાવસ્થામાં જ મેઘાણી ગીતોના કસુંબલ રંગે રંગાઇ ગયા : ૧૯૭૬માં શાસ્ત્રીય સંગીતના જગવિખ્યાત ગાયક પંડિત જસરાજજીએ અભેસિંહ રાઠોડના કંઠે લોકગીતો સાંભળીને આશીર્વાદ આપેલા

રાજકોટ તા. ૩ : રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની કર્મ-નિવાર્ણભૂમિ બોટાદ પાસે આવેલા સરવા ગામમાં ૦૩ નવેમ્બર ૧૯૫૨ના રોજ વિશ્વવિખ્યાત લોકગાયક અભેસિંહ રાઠોડનો જન્મ થયો હતો. લોકસાહિત્ય-પ્રેમી ધરતી-પુત્ર પિતા માવુભાને અનેક પ્રાચીન દુહાઓ કંઠસ્થ હતા. ધર્મપરાયણ માતા સુબલબા. 

દક્ષિણ ગુજરાતમાં ભરૂચને પોતાની કર્મભૂમિ બનાવનાર અભેસિંહ રાઠોડ છેલ્લા પાંચ દાયકાઓથી વધુ દેશ-વિદેશમાં વસતા સેંકડો ગુજરાતીઓનાં હૈયે વસે છે. મેઘાણી-ગીતોને, અસલ ઢબે, તેમના બુલંદ કંઠે સાંભળવાનો એક લ્હાવો છે. ઝવેરચંદ મેઘાણી રચિત-સંશોધિત-સંપાદિત ગીતો-લોકગીતો-ભજનોને પોતાના કંઠ થકી જીવંત રાખવામાં લોકગાયક અભેસિંહ રાઠોડનું અનન્ય અને વિશિષ્ટ પ્રદાન છે. અમેરિકા, કેનેડા, ઈંગ્લેન્ડ, દુબઈ, ઓમાન, બહેરીન, આફ્રીકા જેવા વિવિધ દેશોમાં ગુજરાતનાં મૂલ્યવાન લોકસાહિત્ય-લોકસંગીતનો અભેસિંહ રાઠોડએ પ્રચાર-પ્રસાર કર્યો છે. લોકસંગીત-લોકડાયરાના કાર્યક્ર્મોમાં હરહંમેશ સાત્વિક અને ઉચ્ચ સ્તર જાળવવામાં આવે તે માટે અભેસિંહભાઈ સવિશેષ પ્રયત્નશીલ છે. સાહિત્ય-લોકસાહિત્યનાં પણ તેઓ ઊંડા અભ્યાસુ છે.

 અભેસિંહ રાઠોડે અનેક ગુજરાતી ચલચિત્રોમાં પાર્શ્વગાયન કર્યું છે. દૂરદર્શન અને આકાશવાણી પર પણ અવારનાર તેમના કાર્યક્ર્મો પ્રસારિત થાય છે. ગુજરાત સરકારના ગૌરવ પુરસ્કાર (૨૦૦૪), ગ્લોરી ઓફ ગુજરાત (૨૦૧૮) જેવાં અનેક ગૌરવભર્યાં પારિતોષિકોથી તેઓ સન્માનિત થયા છે. ગુજરાત સરકારના ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન તથા ગુજરાત રાજય સંગીત નાટક અકાદમીમાં ડીરેકટર તરીકે પણ સેવા આપી ચૂકયા છે.સરવાની સરકારી પ્રાથમિક શાળામાં ત્યારે ધોરણ ૩માં અભ્યાસ કરતા ૮ વર્ષના અભેસિંહભાઈએ સહુપ્રથમ ઝવેરચંદ મેઘાણી રચિત અતિ લોકપ્રિય કાવ્ય કસુંબીનો રંગ શિક્ષક પાસેથી સાંભળ્યું ને મેઘાણી-ગીતોનાં કસુંબલ રંગે રંગાઈ ગયા. ૧૯૭૩માં બોટાદમાં કોલેજ-અભ્યાસ દરમિયાન મેઘાણી-જયંતી નિમિત્ત્।ે હજારોની માનવ-મેદની વચ્ચે સરકારી હાઈસ્કૂલની પાછળ આવેલા વિશાળ મેદાનમાં યોજાયેલા જાહેર કાર્યક્ર્મમાં સહુપ્રથમ વખત ભાગ લઈને મેઘાણી-ગીતો રજૂ કર્યા.૧૯૭૬માં સાણંદ યુવરાજ દુર્ગાપ્રસાદસિંહજીના અમદાવાદમાં આશ્રમ રોડ પાસે આવેલ ચિત્રકૂટ એપાર્ટમેન્ટ નિવાસસ્થાને યોજાયેલ એક મેળાવડામાં શાસ્ત્રીય સંગીતના જગવિખ્યાત ગાયક પંડિત જસરાજજી પધારેલા. યુવરાજ દુર્ગાપ્રસાદસિંહજી વાંસળી વગાડે. ઝવેરચંદ મેઘાણી કૃત રઢિયાળી રાતમાંથી કાન તારી મોરલી લોકગીત અભેસિંહ રાઠોડે રજૂ કર્યું ને પંડિત જસરાજજી અતિ પ્રભાવિત થયા. શાસ્ત્રીય સંગીતની સાધના માટેની ઈચ્છા અભેસિંહભાઈએ પંડિતજી પાસે વ્યકત કરી. તો પંડિતજી કહે : લોકસંગીતની તારે ઈશ્વરીય બક્ષિસ છે. લોકસંગીતના કણ તારી ગાયકીમાં સહજપણે અને કુદરતી રીતે છે. લોકસંગીત ક્ષેત્રે જ આગળ વધ. તારી ખૂબ નામના થશે તેવી મને શ્રધ્ધા છે. મારા આશીર્વાદ છે.ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી નાનકભાઈ મેઘાણી સ્થાપિત ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન દ્વારા આયોજિત વિવિધ સ્મૃતિ-કાર્યક્ર્મોમાં અભેસિંહભાઈ નિઃસ્વાર્થભાવે લાગણીભર્યો સહયોગ આપે છે જે ખાસ ઉલ્લેખનીય છે. શાળા-કોલેજ-યુનિવર્સિટીનાં વિદ્યાર્થીઓ મેઘાણી-ગીતોને માણે-જાણે તે માટે સતત સક્રીય છે. ઝવેરચંદ મેઘાણીની અધિકૃત મ્યુઝીક સીડી ઘાયલ મરતા મરતા રે, માતની આઝાદી ગાવે (શૌર્ય અને દેશપ્રેમનાં ગીતો) તથા રઢિયાળી રાત (પ્રાચીન લોકગીતો-રાસ-ગરબા) તેમનાં સ્વરમાં પ્રગટ થઈ છે.

આઝાદી પૂર્વે ૧૯૪૩માં ભરૂચના લાલબજાર વિસ્તારમાં સ્થપાયેલી ઐતિહાસિક પ્રોગ્રેસીવ હાઈસ્કૂલ ૨૦૦૦નાં ધરતીકંપમાં ગંભીર ક્ષતિ પામી હતી. છેલ્લા ૪૦ વર્ષથી શિક્ષણ-ક્ષેત્ર સાથે જોડાયેલાં જાણીતા લોકગાયક અભેસિંહ રાઠોડે આ શાળાને ભરૂચનાં ભોલાવ વિસ્તારમાં આવેલી આશ્રય સોસાયટીમાં પુનઃ પ્રસ્થાપિત કરી. પૂર્વ-પ્રાથમિક, પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગ ધરાવતી ભરૂચની આ પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થામાં ૧૫૦૦ જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. ૪૫ જેટલી અનાથ અને નિરાશ્રિત બાળાઓ તથા સામાજિક અને આર્થિક રીતે પછાત બાળકોને પણ અહિ લાગણીથી શિક્ષણ અપાય છે.

વિશ્વભરમાંથી સંસ્કૃતિ-સાહિત્ય-સંગીત-પ્રેમી ગુજરાતીઓ લોકગાયક અભેસિંહ રાઠોડ (મો. ૯૮૨૫૦૩૩૧૦૨)ને અભિનંદન પાઠવે છે. પરમાત્મા અભેસિંહ રાઠોડને દીર્ઘાયુ, ઉત્ત્।મ સ્વાસ્થ્ય અને અપાર શકિત અર્પે તેવી અભ્યર્થના.

: આલેખન :

પિનાકી નાનકભાઈ મેઘાણી

ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન

(મો. ૯૮૨૫૦૨૧૨૭૯)

(10:42 am IST)