Gujarati News

Gujarati News

News of Sunday, 3rd November 2019

પરંપરાગત ગિરનાર પરિક્રમાનો રૂટ અગિયારસે મોડીરાત્રે જ ખુલ્લો મુકાશે : વહેલા આવનારા યાત્રિકોએ ચેતવું જરૂરી

મહા વાવાઝોડાને લઇને પરિક્રમા માર્ગ અને જૂનાગઢમાં વરસાદની શકયતાને કારણે જિલ્લા કલેકટરનો પરિપત્ર

જુનાગઢ: મહા વાવાઝોડાને કારણે ગીરનાર પરિક્રમા પર પણ અસર જોવા મળી રહી છે. જૂનાગઢ જિલ્લા કલેકટર દ્વારા ગીરનાર પરિક્રમા 8 નવેમ્બરની રાત્રે જ ખુલ્લી મુકવામાં આવશે તેવો પરિપત્ર કર્યો હતો.

  અત્રે ઉલ્લેખનીય છે કે, સામાન્ય રીતે ગીરનાર પરિક્રમા નિયત તારીખના ચાર પાંચ દિવસ પહેલાં શરૂ થઈ જતી હોય છે. જો કે આ વખતે મહા વાવાઝોડાને કારણે ગિરનાર પરિક્રમાના માર્ગ ઉપર અને જૂનાગઢમાં વરસાદ પડે તેવી સંભાવનાઓને ધ્યાનમાં રાખી વહીવટી તંત્ર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. 

   ગીરનારની પરિક્રમા માટે સમગ્ર ગુજરાતમાંથી લાખો શ્રદ્ધાળુઓ ગીરનારની તળેટીમાં ઉમટી પડતા હોય છે. ચાર દિવસ પહેલાથી જ આ યાત્રા ચાલુ કરી દેવામાં આવતી હોય છે. જો કે આ વખતે મહા વાવાઝોડાની  સ્થિતીમાં કલેક્ટર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. કલેક્ટર દ્વારા પરિક્રમાના દિવસે જ એટલે કે કારતક સુદ અગિયારસ (08-11-2019) ના દિવસે જ પરિક્રમા રૂટ મોડી રાત્રે ખુલ્લો મુકવામાં આવશે. જેથી વહેલા આવી જતા યાત્રીઓએ તેમની વ્યવસ્થા કરી આવવા જણાવ્યું હતું.

(10:00 pm IST)