Gujarati News

Gujarati News

News of Thursday, 3rd October 2019

જૂનાગઢ પાસેના થુંબાળાની નદીમાંથી અજાણી મહિલાની લાશ મળી

સવારની ઘટનામાં મૃતદેહને જામનગર પીએમમાં મોકલાયો

જૂનાગઢ, તા. ૩ :. જૂનાગઢ પાસેના થુંબાળાની નદીમાંથી આજે સવારે અજાણી મહિલાની કોહવાયેલી લાશ મળી આવતા અરેરાટી વ્યાપી ગઈ હતી.

બીલખા પોલીસે મૃતદેહને પીએમ માટે જામનગર ખાતે મોકલી આપી આગળની તપાસ હાથ ધરી છે.

વિગતો એવી છે કે, વિસાવદર તાલુકાના ખીજડીયા ગામના સરપંચ મનસુખભાઈ બીલખા પાસેના થુંબાળા ગામ નજીકથી પસાર થતી નદીમાં મહિલાની લાશ પડી હોવાની જાણ આજે પોલીસને કરતા બીલખાના પી.એસ.આઈ. વી.યુ. સોલંકી તેમજ હેડ કોન્સ. શ્રી વાણીયા વગેરે દોડી ગયા હતા.

પોલીસે જૂનાગઢના ફાયર બ્રિગેડની મદદથી તણાઈને આવેલ મહિલાની લાશ નદીમાંથી બહાર કાઢી જરૂરી કાર્યવાહી કરી હતી.

પ્રાથમિક તપાસમાં મહિલાની લાશ કોહવાય ગઈ હોય તેથી તેનુ પાંચેક દિવસ અગાઉ તણાય જવાથી મૃત્યુ થયુ હોવાનું જણાયુ હતું.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ મરનાર મહિલાની ઉંમર ૩૦ વર્ષ આસપાસની હોવાનું અનુમાન છે. મૃતકે શરીર પર માત્ર પાયજામો પહેર્યો છે અને તેના બન્ને હાથ મગર કે અન્ય કોઈ જનાવર ખાય ગયુ હોય ગાયબ છે.

મૃતદેહ અત્યંત કોહવાય ગયો હોય પી.એસ.આઈ. શ્રી સોલંકી અને જમાદાર શ્રી વાણીયાએ સ્ત્રીની લાશને પોસ્ટમોર્ટમ માટે જામનગર ખાતે મોકલી આપી મહિલાની ઓળખ મેળવવા માટે આગળની તપાસ હાથ ધરી છે.

(12:11 pm IST)