Gujarati News

Gujarati News

News of Thursday, 3rd October 2019

રતનપરમાં ભાભી સાથે માંડવી નિંદવા માટે ઝઘડો થતાં નણંદે જીવ દઇ દીધો

મુળ ધાનપુર દાહોદની ૧૯ વર્ષની કાળીએ ઝેર પી લીધું: સારવારમાં મોત

રાજકોટ તા. ૩: મોરબી રોડ પર આવેલા કુવાડવા પોલીસ મથક તાબેના રતનપરમાં ખેતરમાં મગફળી નીંદવા બાબતે નણંદને ભાભી સાથે ચડભડ થતાં નણંદે ઝેર પી જિંદગી ટૂંકાવી લેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ હતી.

રતનપર સુરાપુરાના મંદિર પાસે આવેલી પુષ્પરાજસિંહની વાડીમાં રહી મજૂરી કરતાં મુળ દાહોદ ધાનપુરના રાજુ ભુરીયા (આદિવાસી)ની પત્નિ કાળી (ઉ.૧૯) ગઇકાલે સાંજે ઝેર પી જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. પરંતુ અહિ દમ તોડી દીધો હતો. હોસ્પિટલ ચોકીના પીએસઆઇ આર. કે. રાઠોડે જરૂરી કાર્યવાહી કરી હતી.

આપઘાત કરનાર કાળીના દોઢ વર્ષ પહેલા લગ્ન થયા હતાં. તેણીના સ્વજનના કહેવા મુજબ કાળીને તેના ભાભી મેનાબેને પોતાની સાથે ખેતરમાં મગફળી નીંદવા આવવાનું કહેતાં કાળીએ પોતે પછી આવશે તેમ કહેતાં માથાકુટ થઇ હતી. એ પછી માઠુ લાગી જતાં તેણે આ પગલુ ભરી લીધું હતું.  લગ્ન ગાળો દોઢ વર્ષનો જ હોઇ પોલીસે મૃતદેહનું ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ કરાવ્યું છે.

(11:57 am IST)