Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd September 2019

વાંકાનેર જીનપરામાં સેન્ટીંગ કામ વખતે બે યુવાનને કરંટ લાગ્યોઃ આમદ સાયરાનું મોત

નવા મકાનના બીજા માળના ધાબા પર બનાવઃ બે સંતાને પિતાનું છત્ર ગુમાવતાં પરિવારમાં માતમઃ બીજા યુવાન સિકંદર મોવરનો બચાવ

રાજકોટ તા. ૩: વાંકાનેરના જીનપરા મેઇન રોડ પર નવા બનતાં મકાનના બીજા માળના ધાબા પર સેન્ટીંગ કામ કરતી વખતે લોખંડનો સળીયો ઉપરથી પસાર થતી વિજલાઇનમાં અડી જતાં બે મુસ્લિમ યુવાનને કરંટ લાગ્યો હતો. જેમાં એકનો બચાવ થયો હતો અને એકનું મોત નિપજતાં પરિવારમાં માતમ છવાઇ ગયો હતો.

જાણવા મળ્યા મુજબ વાંકાનેર મિલ પ્લોટમાં હસમુખભાઇની દૂકાન પાસે રહેતો આમદ સિદ્દીકભાઇ સાયરા (ઉ.૩૨) તથા સિકંદર જાનમહમદ મોવર (ઉ.૩૧) અને બીજા મજૂરો જીનપરા મેઇન રોડ પર મેહુલ ટેલિકોમવાળી શેરીમાં નવા બની રહેલા મકાનના બીજા માળના ધાબા પર સેન્ટીંગ કામ કરતાં હતાં ત્યારે સળીયો વિજતારને અડી જતાં આમદ અને સિંકદરને કરંટ લાગ્યો હતો. સિકંદરને અંગુઠામાંથી કરંટ નીકળી જતાં ઇજા સાથે બચાવ થયો હતો.

જ્યારે આમદને વધુ કરંટ લાગતાં બેભાન થઇ જતાં વાંકાનેર હોસ્પિટલમાં અને ત્યાંથી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ તેનું મોત નિપજ્યું હતું. મૃત્યુ પામનાર આમદ બે બહેન અને ચાર ભાઇમાં નાનો હતો. સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. બનાવથી પરિવારમાં માતમ છવાયો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે કાગળો કરી વાંકાનેર પોલીસને જાણ કરી હતી.

(11:53 am IST)