Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd August 2021

ધ્રોલના લતીપરમાં છરીના ઘા ઝીંકીને હત્યા

ધનજીભાઈ દામજીભાઈ જુગલને મોતને ઘાટ ઉતારીને અજાણ્યો શખ્સ નાસી છૂટયોઃ હત્યાના કારણ અને હત્યા કરનાર અંગે તપાસનો ધમધમાટ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા. ૩ :. જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના લતીપરમાં આધેડની છરીના ઘા ઝીંકીને હત્યા કરાતા ખળભળાટ મચી ગયો છે.

પ્રાપ્ત માહિતી મુજબ લતીપર ગામના સ્મશાનથી ગૌશાળા તરફ જતા કાચા રસ્તા ઉપર આવેલ વોંકળાના પૂલ પાસે ધનજીભાઈ દામજીભાઈ જોગલ (ઉ.વ. ૪૨)ની છરીના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારી દીધેલ હાલતમાં લાશ મળી આવી હતી. જે અંગે લતીપર પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે.

મૃતક ધનજીભાઈના ભાઈ મુકેશભાઈ જોગલની ફરીયાદના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. મૃતકના શરીર ઉપર છરીના ઘા માર્યા છે અને અજાણ્યો શખ્સ મોતને ઘાટ ઉતારીને નાસી છૂટતા હત્યાના કારણ અંગે તથા હત્યા કરનારની શોધખોળ પોલીસે હાથ ધરી છે.

(2:59 pm IST)