Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd June 2020

પડધરી પંચાયતનો અભિનવ પ્રયોગ : કોરોના સંક્રમણથી બચવા નવી શાકમાર્કેટ બનાવી

સુર્યોદય થતાં સાથે જ રેકડીમાં અવનવાં શાકભાજી અને ફળફળાદી લઇને જતાં શાકબકાલું વેંચતા નાના ફેરીયાઓ ગામની નિશ્ચિત જગ્યાએ શાકમાર્કેટ તરફ પ્રયાણ કરે એ દ્રશ્ય આપણી રોજબરેાજની દિનચર્ચા સાથે જોડાયેલું છે. પરંતું છેલ્લા કેટલાક સમયથી કોરોના મહામારીને કારણે આ દ્રશ્ય આપણને જોવા મળતું નથી.

કોરોનો મહામારીના સંક્રમણને અટકાવવાના પ્રયાસો અન્વયે રાજય અને કેન્દ્ર સરકારના માર્ગદર્શન હેઠળ રાજયભરમાં લોકડાઉન સંદર્ભે અમલી બનાવાયેલા સાવચેતીના પગલાંઓ  અંતર્ગત લોકોની ભીડ એકઠી ન થાય તે અનિવાર્ય છે. ત્યારે અનલોક-૧ અન્વયે રાજય સરકારની માર્ગદર્શિકાનું પલન થાય તે માટે રાજકોટ જિલ્લાના કુલ ૧૦ હજારની વસતી ધરાવતા પડધરી ગામે કોરાના સંક્રમણ સામે બચાવ સાથે ગ્રામ્ય અર્થતંત્ર ધબકતું રહે અને શાકભાજી તથા ફળફળાદી જેવી જીવનજરૂરી ચિજવસ્તુઓ આસાનીથી ઉપલબ્ધ રહે તે માટે ખાસ પ્રકારની વ્યવસ્થા સાથેની શાકમાર્કેટનો અભિનવ પ્રયોગ અમલી બન્યો છે.

અભિનવ શાકમાર્કેટના પ્રયોગ માટે પ્રેરણાસ્ત્રેાત એવા રાજકોટ જિલ્લા ગ્રામ્ય પ્રાંત અધિકારી સરયુબેન જણકાટે માહિતી આપતાં જણાાવ્યું કે અહીંની જુની શાકમાર્કેટ ૨૫૦૦ ચો.ફુટની હતી. આવી નાની જગ્યામાં ૭૦ થી વધુ શાકભાજી વેંચતા ફેરીયાઓનો સમાવેશ કરવો અને તે પણ સોશ્યિલ ડીસ્ટન્સીંગના અમલ સાથે અશકય હતું. આથી સ્થાનિક રહીશોને અપીઇ કરાઇ તથા ગ્રામપંચાયત અને અગ્રણીઓના સહયોગથી ખાનગી માલીકીની જમીન હંગામી ધોરણે આ ખાસ શાકમાર્કેટ શરૂ કરવા માટે મળી છે. જેમાં શાકભાજીના ફેરીયાઓ અને ખરીદાર લોકોને ખાસ બનાવાયેલા સેનેટાઇઝર મશીન દ્વારા સેનેટાઇઝ કરી પ્રવેશ આપવામાં આવે છે. અહીં અલગ અલગ જણસ જેવી કે લીલોતરી શાક, અથાણા માટેના કેરી ગુંદાના થડા તથા બટાકા અને ડુંગળીના થડાઓની ગોઠવણીમાં પણ  સોશ્યિલ ડીસ્ટીન્સીંગનું આપમેળે પાલન થાય તેવી વિશિષ્ટ ગોઠવણી કરાઇ છે.

શાકમાર્કેટના આયોજનમાં સહયોગી એવા પડધરીના સરપંચશ્રી વિજયભાઇ પરમારના મતાનુસાર શાકભાજીએ રોજીંદી જરૂરીયાત હોવાથી  શાકમાર્કેટએ કોરોના સંક્રમણ માટે સંવેદનશીલ સ્થળ બની રહે છે. આથી જુની શાકમાર્કેટની જગ્યાએ ખુલ્લી જગ્યાએ શાકમાર્કેટ શરૂ થતા કોરોના સંક્રમણથી બચાવ શકય બનશે.

શાકભાજીનો વ્યવસાય કરતા સંદીપભાઇ કટોસણા સલામતી સાથે રોજગારીની આ આગવી વ્યવસ્થાથી સંતોષ વ્યકત કરતા કહે છે કે, આ નવા શાકમાર્કેટમાં શાકભાજી વેચાણ કરતા અમારા જેવા ફેરીયાઓને કોરોના સામે સલામતી સાથે રોજગારી પણ સુલભ બની રહી છે. લોકોને પણ તાજા શાકભાજી એક જ સ્થળે મળી રહે છે.

શરૂઆતથી જ કોરોના સંક્રમણના બચાવમાં અગ્રેસર રહેલા અને ગ્રીનઝોનમાં સમાવિષ્ટ એવા પડધરી ગામ આમ તો પ્રારંભથી જ કોરોના સામેની લડાઇમાં સતત જાગૃત રહ્યું છે. મોઢા પર માસ્ક કે રૂમાલ સાથે શાકભાજી ખરીદ કરતા રહીશો  કોરોના સંક્રમણ પ્રત્યેની જાગૃતિ સ્પષ્ટ જણાઇ આવે છે.                                   

શાકભાજી ખરીદ કરવા આવેલા જૈફ વયના મોટા રામપરના મુળશીભાઇ હિરાભાઇ મોલીયા પડધરી ગ્રામપંચાયતના આ સલામત અને અભિનવ શાકમાર્કેટની વ્યવસ્થાથી ગૌરવ અનુભવતા આ કાર્ય માટે વહિવટી તંત્ર અને ગ્રામપંચાયતના જાગૃત સભ્યોને બિરદાવતા ઉમેરે છે કે પડધરીમાં કોરોના સંક્રમણને અકટાવવાના પગલાઓને કારણે આસપાસના ગામો પણ કોરોનાથી સલામત રહી શકયા છે.

આ શાકમાર્કેટને કાર્યરત કરવામાં ખાસ સહયોગી એવા સેવાભાવી ક્રિપાલભાઇ અને સીકંદરભાઇ જણાવે છે કે જુની શાકમાર્કેટમાં સંકાડામણને કારણે કોરોના સંક્રમણનો ભય રહેતો હતો. જે આ નવા માર્કેટમાં સલામતી સાથેના સોશિયલ ડીસ્ટન્સીંગના કારણે દુર થતાં નિર્ભયપણે શાકભાજી વેચાણ થઇ શકે છે. લોકો પણ સલામત અને વેપારી સાથે વેપાર પણ સલામત.

આ શાકમાર્કેટના વિશિષ્ટ સ્થળની પસદંગી અંગે સ્પષ્ટતા કરતા મામલતદારશ્રી ભાવનાબેન વિરોજા જણાવે છે કે ગામની બજારમાં,  સહુને સુવિધા જનક સાથે પોલીસ સ્ટેશનના સમીપ આ સ્થળ આવેલ હોવાથી વેપારીઓ અને ખરીદાર લોકોની સલામતી પણ જળવાઇ રહે છે.

આ શાકમાર્કેટના અભિનવ પ્રયોગના સફળ અમલીકરણમાં અને વ્યવસ્થાને સુચારૂ બનાવવામાં તલાટી ટી. એસ. પઠાણ સહિત પોલીસ અધિકારી અને કર્મચારીઓનું પણ અનન્ય યોગદાન રહયું છે. આમ રાજકોટ સમીપ આવેલા નાનાકડા પણ ગોકુળિયા ગામના અભિગમને તાદ્રશ્ય કરતા પડધરી ગામે કોરોના સંકમણથી બચાવ સાથે ગ્રામજીવનને બરકરાર રાખવાના સલામત શાકમાર્કેટના અભિનવ પ્રયોગ થકી  કોરોના સંક્રમણના બચાવ સાથે પ્રગતિના પથ પર આગળ વધવાના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના અભિગમને સકારાત્મક પ્રતિભાવ સાથે પ્રેરકબળ પુરૂ પાડયું છે.

આલેખન

રશ્મિન યાજ્ઞિક

માહિતી બ્યુરો, રાજકોટ

(11:34 am IST)