Gujarati News

Gujarati News

News of Monday, 3rd May 2021

ગોંડલના દેરડી કુંભાજીમાં ૩૦ દિવસમાં ૩૦ થી વધુ લોકોના મોતથી અરેરાટી

ગ્રામપંચાયત અને ગ્રામજનો દ્વારા એક સપ્તાહ માટે સ્વૈચ્છીક સંપૂર્ણ લોકડાઉન જાહેર કરાયું

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા)ગોંડલ, તા. ૩:  ગોંડલ તાલુકાના દેરડીકુંભાજી ગામે એપ્રિલ માસ દરમિયાન કોરોનાના કેસ વ્યાપક પ્રમાણમાં નોંધાયા હતા લોકો દ્વારા સરકારી ગાઇડ લાઈન અને સોશ્યલ ડિસ્ટન્સ સાથે માસ્ક પણ પહેરવામાં આવ્યા હતા તેમ છતાં પણ ગામમાં ૩૦થી વધુ લોકોના નિધન થતા શોકનું વાતાવરણ ફેલાવા પામ્યું છે. વર્તમાન પરિસ્થિતિ જોઈને એક સપ્તાહ માટે સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે.

પ્રાપ્ત વિગતો મુજબ દેરડી કુંભાજી તાલુકા પંચાયતના સદસ્ય ચિરાગભાઈ ગોળ દ્વારા ટેલીફોનીક વાતચીતમાં જણાવ્યું હતું કે કોરોના કહેરથી દેરડી કુંભાજી ગામ પણ બચવા પામ્યું નથી એપ્રિલ માસમાં ૩૦થી વધુ લોકોના મોત નિપજયા છે ગામમાં શોકનો માહોલ ફેલાયો છે. કોરોના ને કારણે નાગજીભાઈ ગોધવીયા, લાભુબેન પાનસુરીયા, શૈલેષભાઈ નરોડીયા, ધીરુભાઈ ગોળ, અનિતાબેન પદમાણી, વિઠ્ઠલભાઈ ખાતરા, રંમજુબ બાને વામજા સુરેશભાઈ ગોળ ઘુસાભાઇ ગોળ જયશ્રી બેન ભટ્ટ શારદાબેન ખાખરા નાગજી ભાઈ પાનસુરીયા શ્રી પ્રસાદ શુકલ જેન્તીભાઇ સાવલીયા ભાવિનભાઈ કાંતાબેન વામજા રમેશભાઈ ગોજારીયા ગોદાવરીબેન બોકરવાડીયા તેમજ શિવલાલભાઈ દોંગા સહિતનાઓના નિધન થયા છે. પરિસ્થિતિ દિવસેને દિવસે વધી રહી હોય સોમવારથી સોમવાર એક સપ્તાહ માટે સંપૂર્ણ લોકડાઉન જાહેર કરવામાં આવેલ છે.

દેરડી કુંભાજીમાં સ્ટુડિયોનું કામ કરતાં ભાવિનભાઈ રવજીભાઇ વિસાવડિયા તેમજ તેમના કાકા જેન્તીભાઈ વિસાવડીયાને કોરોના ભરખી જતા વિસાવડીયા પરિવાર પર આભ તુટી જવા પામ્યુ છે ભાવિનભાઈ ના પિતા રવજીભાઈ ગોંડલ જુના માર્કેટીંગ યાર્ડના કર્મચારી છે અને ભાવિનભાઈ ને સંતાનમાં બે વર્ષનો પુત્ર હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

(11:50 am IST)