Gujarati News

Gujarati News

News of Saturday, 3rd February 2018

બે વર્ષના પ્રેમલગ્નનો કરૂણ અંજામ

તળાજાના સરતાનપર ગામે પતિ દ્વારા પત્નિ દિકરીને જીવતી સળગાવી

પ્રેમિકા પત્નિ ગમતી ન હોય અને ચાલ-ચલનગત બાબતે મારમારી આગ ચાંપી દીધીઃ સર.ટી. હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે સારવાર લઇ રહેલી પરિણિતા

ભાવનગર તા.૩ : બે વર્ષના લગ્ન જીવનનો કરૂણ અંજામ આપતો બનાવ તળાજા પોલીસ દફતરે નોંધાયો છે. તળાજા પો.ઇ. પટેલીયા પાસેથી મળતી વિગતો અનુસાર સરતાનપર (બંદર) ખાતે રહેતા વિષ્ણુ બાલાભાઇ સરવૈયાના પત્નિ અનુબેન (ઉ.રર)એ નોંધાવેલ ફરિયાદ અનુસાર પોતાએ બે વર્ષ પહેલા વિષ્નુ સાથે પ્રેમલગ્ન કરેલ હતા. લગ્નજીવન દરમિયાન દિકરીનો જન્મ થતા ખુશી નામ રાખવામાં આવેલ.

પતિ દ્વારા છેલ્લા કેટલાક સમયથી તૂ ગમતી નથી તેમ કહી શારીરિક-માનસિક ત્રાસ ગુજારે છે તો ચારિત્ર બાબતે શંકા સેવતો હતો. ગઇકાલ બપોરે ઘરે આવી ફરિયાદીને આપઘાત કરવા જણાવેલ પરંતુ આપઘાત કરવાનો નનૈયો ભણી દેતા ફરિયાદી અનુબેનએ દિકરી ખુશી (ઉ.વ.૯ માસ)ને તેડી હતી તે સમયે જ પતિએ કેરોસીન છાંટી આગ ચાંપી દેતા પત્નિ અનુબેન શરીરે સખત દાઝી જતા ગંભીર હાલતે ભાવનગર ખસેડેલ. ખુશી પગના ભાગે દાઝી હતી.

પોલીસે પત્નિ જીવતી સળગાવી મારી નાખવાનો પ્રયાસ કરનાર પતિ વિરૂધ્ધ ગુનો નોંધી ફરાર આરોપીની ધરપકડ કરવા પ્રયાસ હાથ ધર્યો છે.

(12:02 pm IST)