Gujarati News

Gujarati News

News of Saturday, 3rd February 2018

જસદણઃ બુધવારથી દાઉદી વ્હોરા સમાજ દ્વારા મુલ્લા જાફરજી જીવાજી સાહેબનો અમરેલીમાં ઉર્ષ મુબારક

જસદણ તા.૩ : વિશ્વભરના દાઉદી વ્હોરા સમાજના મહાન ઓલિયા મુલ્લા જાફરજી જીવાજી સાહેબનો ઉર્ષ મુબારક તા.૭, ૮ના અમરેલી ઉજવવામાં આવશે. જેમાં સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના ગામે-ગામના વ્હોરા બિરાદરો બહોળી સંખ્યામાં ઉમટી પડી મુલ્લા જાફરજી સાહેબને હૃદય ભીંજવી અંજલી અર્પણ કરશે. આ અંગે આયોજકો દ્વારા તડામાર તૈયારીઓ થઇ રહી છે.

અમરેલી શહેરના જેસીંગપરા વિસ્તારમાં આવેલ તેમના મઝાર શરીફ પર જસદણ સહિત દેશ-વિદેશમાંથી બહોળી સંખ્યામાં શ્રધ્ધાળુઓ આવી તેમની તૂરબત પર માથુ ટેકવી આસ્થાના ફુલો ન્યોછાવર કરે છે. આ ઉર્ષ મુબારક નિમિતે તા.૭ ફેબ્રુઆરી બુધવાર તા.૮ ફેબ્રુઆરી ગુરૂવાર કુઆર્ન ખ્વાની, હરીશ, શંદલ, મજલીશ, ન્યાઝ જેવા અનેકવિધ ધાર્મિક કાર્યક્રમોથી આ ઉર્ષ ગુંથાયેલો રહેશે.

મુલ્લા જાફરજી સાહેબના ઉર્ષ સંદર્ભે અમરેલીની દિકરીઓ જયાં જયાં સાસરે હશે અનેક સદકાર્યો દ્વારા આ રૂહાની બાવાને ગર્વભેર યાદ કરે છે.

સફળ બનાવવા અમરેલી દાઉદી વ્હોરા જગતના આગેવાનો, હોદેદારો અને સભ્યો તૈયારી કરી રહ્યા છે.

(11:42 am IST)