Gujarati News

Gujarati News

News of Saturday, 3rd February 2018

શેત્રુંજી ડેમના પાણીનો બેફામ બગાડ

વગર ચોમાસે ચેકડેમો છલકાયા, નદી-નાળા બે કાંઠે વહેતા થયા : જયાં ત્યાં તૂટેલી કેનાલો, ઓછા સ્ટાફ છતા ફરજમાં બેદરકારી : કાયદેસરની કાર્યવાહીના અભાવના કારણે : હજારો એમએલડી વ્યય થઇ રહયું છે પાણી

તળાજા, તા., ૩ : સિંચાઇ વિભાગના નિયમોનો છેદ ઉડાડી મતોનું રાજકારણ ખેલતા નેતાઓના દબાડાના કારણે શેત્રુંજી સિંચાઇ યોજના અંતર્ગત છેલ્લા પંદર દિવસથી છોડવામાં આવેલ પાણીનો બેફામ બગાડ થઇ રહયો છે. એક તરફ રાજયભરના જળાશયોમાં પાણની અછત આવનારા દિવસોમાં વર્તાઇ રહી છે. ત્યારે ગોહીલવાડના જીવાદોરી સમાન શેત્રુંજી ડેમનું અમુલ્ય પાણી બેદરકારીના કારણે બગડી રહયું છે.

વગર ચોમાસે તળાજી નદી, નદીપરના ચેકડેમો, નાળાઓ છલકાયા છે, વહેતા થયા છે. છેલ્લા આઠેક દિવસથી શેત્રુંજી ડેમનું જે થોડુક પાણી સંગ્રહીત થયેલ છે તે સિંચાઇના નામે બગડી રહયું છે. રાજય સરકાર એક તરફ પાણી બચાવવા પાછળ કરોડો રૂપીયા ખર્ચ કરે છે તો બીજી તરફ સરકારી બાબુઓના નાક નીચે જ શેત્રુંજી ડેમનું પાણી વેડફાઇ રહયું છે. નદીનાળાઓમાં વહી રહયું છે. ભાવનગર શહેરને પીવા માટે શેત્રુંજી ડેમનું પાણી મુખ્ય સ્ત્રોત બની રહે તેમ જાણતા હોવા છતા બેદરકારી પાણીનો વ્યય થતા નજર સમક્ષ આવી છે.

સમયાનુસાર ખેડુતોના સિંચાઇ માટેનું પાણી આપવા માટેના પુરતા ફોર્મ ન આવવા છતા સાથે શેત્રુંજી ડેમ અડધાથી પણ ઓછો ભરાયેલ હોવા છતા ખેડુતો રોષે ન ભરાય તેવા ફફડાટ અને મતોની લાલચ ધરાવતા નેતાઓના દબાણને વશ થઇ પંદર દિવસથી પાણી છોડવામાં આવ્યું છે. પરંતુ તુટેલી કેેનાલો, ઓછો સ્ટાફ, ખેડુતો દ્વારા પોતાના ખેતરમાં પાણી પાઇ ખુલ્લા મુકી દેવાતા ધોરીયા, પાણીનો બગાડ કરનારા તત્વો સામે કાયદેસરના પગલા ભરવામાં આવતા ન હોઇ તેના કારણે બગાડ થઇ રહયો છે.

સબંધીત તંત્રના અધિકારીઓ ભવિષ્યમાં બેદરકારી ન દાખવે અને પાણીનો બગાડ અટકે તેમ ખેડુત વર્ગમાંથી લાગણી ઉદભવી જોવા મળી છે.

(11:40 am IST)