Gujarati News

Gujarati News

News of Thursday, 2nd December 2021

ભુજમાં ૨૨માં ઉપવાસે સમાધિપૂર્વક સંથારો સિઝયો

પાલખીયાત્રામાં જૈન સમાજના શ્રાવણ શ્રાવિકાઓ જોડાયા

ભુજ,તા.૨:  શ્રી ભુજ આઠ કોટી નાની પક્ષ સ્થાનકવાસી જૈન સંપ્રદાયના સુશ્રાવિકા શ્રીમતી મંજુલાબેન મનસુખલાલ વોરા નો સંથારો (અનશનવ્રત) ૨૨ માં ઉપવાસે ગઇ કાલે બપોરે ૩.૦૭ મિનિટે સમાધિપૂર્વક સિઝયો હતો. મૂળ બેલા અને હાલે ભુજમાં રહેતા જૈન વ્યાપારી પરિવારના મનસુખલાલ કેશવલાલ વોરાના ધર્મપત્ની મંજુલાબેને તા.૧૦ નવેમ્બરથી અનશનવ્રતની ઉગ્ર આરાધના શરૂ કરી હતી. અનશનવ્રત દરમ્યાન ભુજ મધ્યે બિરાજતા જૈન સમાજના તમામ ફિરકાના સાધુ સાધ્વીજીઓએ દર્શનનો લાભ આપી તેમની ધર્મભાવનાને પ્રબળ બનાવવા પ્રચંડ પુરુષાર્થ કર્યો હતો. અનશનવ્રત દરમ્યાન સંદ્ય, સમાજ અને પરિવારના ભાઈ બહેનોએ ઉત્કૃષ્ટ ધર્મ આરાધના કરાવી હતી. સદગત ની પાલખીયાત્રા સાંજે ૫ વાગ્યે તેમના નિવાસ સ્થાન રવેચી ભુવન હોસ્પિટલ રોડથી નીકળી જૈન અમરધામ પહોંચી હતી. પાલખીયાત્રામાં શ્રી ભુજ આઠ કોટી નાની પક્ષ જૈન સંઘના સંઘપતિ નીતિનભાઈ બાબુલાલ શાહ, સંઘની કારોબારીના તમામ સભ્યો તથા સમસ્ત જૈન સમાજના શ્રાવક શ્રાવિકાઓ કોવિડ ગાઈડ લાઈન અનુસાર જોડાયા હતા.

(10:18 am IST)