Gujarati News

Gujarati News

News of Saturday, 2nd December 2017

પોરબંદરની બોટ ૬ માછીમારો સાથે જખૌ દરીયામાં લાપત્તા

પોરબંદર, તા. ૨ :. પોરબંદરની બોટ ૬ માછીમારો સાથે જખૌ દરીયામાં લાપત્તા થતા માછીમાર પરિવારમાં ભારે ચિંતા પ્રસરી ગઈ છે અને બોટ અને માછીમારોની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી મુજબ પોરબંદરથી પોરબંદરના જગદીશભાઈ પ્રતાપભાઈ ગોહીલની જય ભવાની નામની બોટ માછીમારી માટે નીકળી હતી. આ બોટનો તા. ૧૦-૧૧-૨૦૧૭ના રોજથી પત્તો ન લાગતા અને સંપર્ક ન થતા માછીમાર એસોસીએશનના હોદેદારો અને માછીમાર પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી અને કોસ્ટગાર્ડ ટીમને પણ જાણ કરાઈ હતી. તેમ છતા હજુ સુધી ૨૨ દિવસે પણ આ બોટનો કોઈ પત્તો મળ્યો નથી.

આ બોટમાં ગીર-સોમનાથ જિલ્લાના દેલવાડાના મોહન કરશન ટંડેલ, મંગા મશરી બાંમણીયા, ધીરૂ પુના બાંભણીયા, જયેશ લક્ષ્મણ બાંભણીયા, ભાણા નારણ સોલંકી અને મેરૂ હામા સોલંકી લાપત્તા થતા તેમની શોધખોળ આદરી છે.

આ બોટ કે માછીમારો અંગે કોઈને પત્તો મળે તો પોરબંદર માછીમાર બોટ એસોસીએશનના ભરતભાઈ મોદી મો. ૯૮૨૫૨ ૩૦૩૮૦ અથવા ફોન નં. ૦૨૮૬-૨૨૪૩૦૭૮ ઉપર સંપર્ક કરવા જણાવાયુ છે.

(5:25 pm IST)