Gujarati News

Gujarati News

News of Monday, 2nd September 2019

રાજકોટ સહિત સૌરાષ્ટ્રના યાર્ડો બંધઃ ગોંડલ યાર્ડ બંધમાં ન જોડાયું

૧ કરોડના રોકડ ઉપર ૨ટકા ટીડીએસ લાગુ કરવાના નિયમનો ઉગ્રવિરોધઃ યાર્ડોમાં કરોડોનું ટર્નઓવર ઠપ્પ

રાજકોટ, તા. ૨ :. કેન્દ્ર સરકાર દ્વારા ૧લી સપ્ટેમ્બરથી ૧ કરોડની રોકડ ઉપાડવા ઉપર ૨ ટકા ટીડીએસ લગાડવાના નિર્ણયના વિરોધમાં આજે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના તમામ માર્કેટયાર્ડો બંધ રહ્યા હતા. જો કે આ હડતાલમાં ગોંડલ માર્કેટયાર્ડ જોડાયુ ન હતું.

કેન્દ્ર સરકારે ૧ કરોડની રોકડ ઉપાડવા પર બે ટકા ટીડીએસનો નિર્ણય લાગુ કરતા આ નિર્ણયના વિરોધમાં ઉંઝા સહિત ઉત્તર ગુજરાતના તમામ માર્કેટીંગ યાર્ડમાં ૧લી સપ્ટેમ્બરથી હડતાલનું એલાન અપાયુ છે. ઉંઝા યાર્ડના વેપારીઓ સાથે સૌરાષ્ટ્ર એપીએમસી વેપારી એસોસીએશને જોડાવાનો નિર્ણય જાહેર કરી આજથી બે દિવસ યાર્ડમાં હડતાલનું એલાન આપેલ છે.

આજે કેન્દ્ર સરકારના બે ટકા ટીડીએસ લાગુ કરવાના નિર્ણયના વિરોધમાં આજે રાજકોટ યાર્ડ સજ્જડ બંધ રહ્યુ હતું અને તમામ જણસીઓની હરરાજી ઠપ્પ થઈ જતા લાખોનું ટર્નઓવર અટકી ગયુ હતુ. રાજકોટ યાર્ડ સાથે સૌરાષ્ટ્રના ગોંડલ સિવાયના અન્ય તમામ માર્કેટયાર્ડો બંધમાં જોડાયા છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રના યાર્ડો બંધ રહેતા કરોડોનું ટર્નઓવર ઠપ્પ થઈ ગયુ છે.

સૌરાષ્ટ્ર એમપીએમસી વેપારી એસોસીએશનના પ્રમુખ અતુલ કામાણીએ જણાવ્યુ હતુ કે, આજે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના તમામ યાર્ડો બંધમા જોડાયા છે અને આવતીકાલે પણ તમામ યાર્ડો બંધ રહેશે.

(12:05 pm IST)