Gujarati News

Gujarati News

News of Monday, 2nd August 2021

ટંકારાના લજાઇ પાસે 'ફ્રેન્ડશીપ ડે'ના દિવસે જ ત્રણ મિત્રોના મોત થતા અરેરાટી

(ભાવિન સેજપાલ - પ્રવિણ વ્યાસ દ્વારા) ટંકારા - મોરબી તા. ૨ : ટંકારાના રાજકોટ મોરબી રોડ પર આવેલા લજાઈ ગામ પાસેના ભીમનાથ મહાદેવ પાછળ આવેલા ડેમી ૨ મા ડૂબી જતા મોરબીના ત્રણ યુવાનોના મોત. મોરબી ફાયર બ્રિગેડ દ્વારા ભારે જહેમત બાદ મૃતદેહો બહાર કઢાયા આશાસ્પદ યુવાનના મોતથી પરીવાર ઉપર આભ તૂટી પડયું.

રવિવારની રજાના દિવસે મોરબીની ભાગોળે લજાઈ નજીક આવેલા ભીમનાથ મહાદેવ મંદિર પાછળ ન્હાવા જતા મોરબીના ત્રણ આશાસ્પદ યુવાનોના મોત નિપજતા આ ગોજારી દુર્ઘટનાથી ત્રણ-ત્રણ પરિવારોમાં શોકનું મોજું પ્રસર્યું છે.

જાણવા મળતી વિગતો મુજબ  મોરબીના ત્રણ યુવાનો મોરબી રાજકોટ હાઇવે નજીક લજાઈ ગામે આવેલ ભીમનાથ મહાદેવ મંદિરે ગયા હતા. જયાં મંદિરની પાછળ તરફ આવેલા ડેમી-૨માં ન્હાવા પડતા ત્રણેય યુવાનો ડૂબી જતા મોત નિપજયા હતા. વધુમાં આ ગોજારી દુર્ઘટનાની જાણ ગ્રામજનોને થતા મોરબી ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવતા તુરત જ ફાયર ટિમ ઘટનાસ્થળે દોડી ગયા હતી અને ભારે જહેમત ઉઠાવી ત્રણેય યુવાનોના મૃતદેહ શોધી કાઢ્યા હતા.વધુમાં જાણવા મળતી વિગતો મુજબ આ ઘટનામાં મોરબીના ૧. દિપક દિનેશભાઇ હડિયાલ (ઉ.વ.૧૯, રહે.છાત્રાલય રોડ, ક્રિષ્નાપાર્ક સોસાયટી, મોરબી) ૨. રિશીભાઈ ભાવેશભાઈ દોશી (ઉ.વ.૧૭, રહે. સત્યમ પણ વળી શેરી, પુનિત નગર- ૩, શનાળા રોડ, મોરબી) અને ૩. સ્વયં જેઠાભાઇ નંદા (ઉ.વ. ૧૭, રહે.કન્યા છાત્રાલય રોડ, હનુંમાનજી મંદિર પાસે, મોરબી)નું કરૂણ મૃત્યુ નીપજયું હતું.

ઉલ્લેખનીય છે કે, આ અગાઉ પણ ભીમનાથ મહાદેવ મંદિર પાછળ આવેલ ડેમી-૨ ડેમના ઠેલના ભાગમાં મોરબીના મહિલાઓના મૃત્યુ નિપજયા હોવા ઉપરાંત આ ગોઝારા સ્થળે અનેક લોકોનો ભોગ લેવાયો હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.

(11:57 am IST)