Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd May 2018

મોરારિબાપુની નિશ્રામાં ગુરૂવારે રાત્રે મહુવા ખાતે ર૩મો એકતા જશ્ન

રાજકોટ તા. ર :.. પૂ. મોરારીબાપુની નિશ્રામાં ર૩મો એકતા જશ્નનું આયોજન તા. ૩ મે એ કરાયું છે. મહુવા ખાતે રાત્રે ૯ વાગ્યે પીરઝાદા ચોક, સંઘેડીયા બજારમાં યોજાનારા આ એકતા જશ્નનું આયોજન યાદે હુસૈન કમિટી-મહુવા દ્વારા કરાયું છે.

આ અંગે વિગતો આપતાં જયદેવભાઇ માંકડે જણાવ્યું કે, આ પ્રસંગે વિશેષ ઉપસ્થિતિ પૂ. ભકિતસ્વામી કોઠારી શ્રી (બી.એ.પી.એસ.) રહેશે. સાથે જ આ કમીટીના પ્રમુખ સૈયદ મહેંદીબાપુ નકવી તથા વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહેશે. આ પ્રસંગે ડો. ઝહીર અબ્બાસ સાહેબ અને મ.શાયર સૈયદ જલનમાતરી સાહેબને મોરારીબાપુ અને મૌલાના સાહેબના હસ્તે 'યાદે હુસૈન એવોર્ડ' એનાયત થશે.

તેમણે જણાવ્યું કે, ગત તા. ર૮ એપ્રિલે સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારમાં અકસ્માત થયા હતાં. આ દુઃખદ અકસ્માતમાં કુલ ૧૧ લોકોએ જાન ગુમાવ્યા છે. તેમજ વઢવાણના બોડા તળાવમાં બે વિદ્યાર્થી ડૂબી ગયા હતાં. ચિત્રકુટધામ-તલગાજરડા તરફથી મોરારીબાપુએ મૃતકોના પરિવારને સાંત્વના પાઠવી છે અને શ્રી હનુમાનજીની પ્રસાદી તરીકે પ્રત્યેક મૃતકને પાંચ હજારની સહાય મોરારીબાપુએ મોકલાવી છે. (પ-૬)

(10:51 am IST)