Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd March 2021

જામનગર- લાલપુર રસ્તો બિસ્માર હાલતમાં: નવો બનાવવા ધનરાજભાઇ નથવાણીની ટિવટ કરીને માંગણી

દરરોજ અસંખ્ય વાહનોની અવરજવરઃ એમ્બ્યુલન્સથી દર્દીઓ પણ પરેશાન

રાજકોટ, તા.૨: જામનગરથી જામજોધપુર, પોરબંદર, ભાણવડ, લાલપુરને જોડતો લાલપુર ધોરી માર્ગ મહત્વનો છે. આ રોડ દિવસ દરમિયાન અનેક વાહનોની અવર-જવર માટે નિમિત બની રહ્યો છે. જો કે લાંબા સમયથી આ માર્ગ ઉબડખાબડ બન્યો છે. જેને લઈને વાહન ચાલકોને પારાવાર હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

ચોમાસાની સીઝનમાં બિસ્માર હાલતમાં બન્યા બાદ આજ દીન સુધી આ રોડનું મરામતનું કામ હાથ ધરાયું નથી. જામનગરથી લાલપુર માત્ર ૩૫ કિ.મી.નું અંતર ધરાવે છે. પરંતુ આ ૩૫ કિ.મી.નું અંતર કાપતા સવાથી દોઢ કલાક જેટલો સમય લાગે છે. કારણ કે આ રોડ ઉપર ઠેર-ઠેર મસ મોટા ગાબડા પડયા છે. આ રોડ ઉપરથી એમ્બ્યુલન્સ જેવા વાહનો જયારે પસાર થાય છે ત્યારે એમ્બ્યુલન્સ ચાલક અને દર્દી બન્ને ભારે પરેશાન થાય છે.

આ રોડની જેની જવાબદારી છે તે માર્ગ-મકાન વિભાગના અધિકારીઓ દ્વારા આ રોડનું મરામતનું કામ શરૂ ન કરાતુ હોય, રોડના પ્રશ્ને વાહન ચાલકો અને આ વિસ્તારના લોકોની સમસ્યાના ઉકેલ માટે થઇને રિલાયન્સ કંપનીના ગ્રુપ પ્રેસીડેન્ટ ધનરાજ નથવાણી દ્વારા ટવીટ કરવામાં આવેલ છે.

જેમાં જામનગરથી લાલપુર હાઇ-વે રોડનું મરામતનું કામ તાકિદે હાથ ધરાઇ તે માટે જિલ્લા કલેકટર, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ, જામનગર જિલ્લાના બન્ને ધારાસભ્ય અને રાજયના કેબીનેટ મંત્રી આર.સી.ફળદુ, સહિતનાઓને ટેગ કર્યા છે.

આશા રાખીએ કે આ ટ્વીટ બાદ આ માર્ગ નવો બનશે અથવા નવીનીકરણ કરવામાં આવશે.

(10:47 am IST)