Gujarati News

Gujarati News

News of Thursday, 2nd February 2023

સ્પર્શ લેપ્રસી અવેરનેસ કેમ્પેઇન અંતર્ગત રાજુલા આરોગ્ય વિભાગ દ્વારા જનજાગૃતિ અભિયાન હાથ ધરાયુ

રાજુલા : રક્તપિતને ઈતિહાસ બનાવવાના હેતુસર એન્ટી લેપ્રસી ડે નિમિત્તે સ્પર્શ લેપ્રસી અવેરનેસ કેમ્પેઇન હેઠળ જીલ્લા ક્ષય અધિકારી ડૉ.અલતાફ કુરેશી સાહેબના માર્ગદર્શન હેઠળ ૩૦ જાન્યુઆરીથી એક પખવાડીયા સુધી રક્તપિત્ત જનજાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યુ છે જેના ભાગ રૂપે પ્રાંત અધિકારી કુલદીપસિંહ વાળાના અધ્યક્ષ સ્થાને તાલુકા કો-ઓર્ડિનેશન કમિટીની મિટીગ કરી અભિયાનની શરૂઆત કરવામાં આવેલ.

 મહાત્મા ગાંધીની પુણ્યતિથિનાં દિવસે એન્ટી લેપ્રસી ડે ની ઉજવણીના ભાગરૂપે રક્તપિત રોગ વિશે જનજાગૃતિ લાવવા માટે દરેક ગામમા સ્પર્શ લેપ્રસી અવેરનેસ કેમ્પેઈન હાથ ધરી પ્રતિજ્ઞા પણ લેવામાં આવી હતી.

રાજુલા તાલુકાના સરપંચઓ, તલાટી કમ મંત્રીઓ,તાલુકા અને જીલ્લા પંચાયત સભ્યઓને હોટલ દર્શન ખાતે ટીડીઓ હિતેશ પરમાર દ્વારા યોજાયેલ વર્કશોપમા ડૉ.હિરલ ચાપાનેરી દ્વારા રક્તપિત્ત વિશે સેન્સીટાઈઝ કરી જાગૃત કરવામા આવેલ.

તાલુકા હેલ્થ ઓફિસર ડૉ.એન.વી.કલસરીયાના જણાવ્યા અનુસાર શરીરના કોઈ પણ ભાગમાં આછું ઝાંખુ રતાશ પડતું સંવેદના વિનાનું ચાઠું તેમજ જ્ઞાનતંતુઓ જાડા થવા અને તેમાં દુખાવો થવો જેવા લક્ષણો જણાય તો તે રક્તપિત્ત હોય શકે છે.જે જંતુજન્ય રોગ છે પરંતુ કોઈ પૂર્વ-જન્મનું પાપ કે શ્રાપ નથી તેમજ ઝડપી અને નિયમિત બહુઔષધિય સારવારથી રક્તપિત્ત રોગનો ફેલાવો અને રોગને લીધે આવતી વિકૃતિ-અપંગતા અટકાવી શકાય છે.જેની સારવાર દરેક સરકારી દવાખાનાઓ ખાતે વિનામૂલ્યે આપવામાં આવે છે જે યાદીમા જણાવેલ છે.

(12:18 am IST)