Gujarati News

Gujarati News

News of Wednesday, 1st February 2023

પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાન ભાડે આપવા ભારે પડ઼્યા: ભાવનગરમાં 30થી વધુ મકાનો સીલ કરાયા

થોડા દિવસ પહેલા 271 આસામીઓને નોટિસ આપવામાં આવી હતી

ભાવનગરમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ગેરકાયદે રહેતા પરિવારો પર કાર્યવાહી કરવામાં આવી છે. શહેરના સુભાષનગર વિસ્તારમાં આવેલા પ્રધાનમંત્રી આવાસ યોજનાના 30થી વધુ આવાસોને આજે સવારે મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા સીલ મારવામાં આવ્યા હતા. કેટલાક લાભાર્થીઓએ આવાસ મેળવી ભાડે આપી દીધા હોવાનું મનપાના ધ્યાન પર આવતા થોડા દિવસ પહેલા 271 આસામીઓને નોટિસ આપવામાં આવી હતી. ત્યારબાદ આજે સિલિંગ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

સુભાષનગરમાં હમીરજી પાર્ક પાસે આવેલા પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનો આવેલા છે. જેમાં આ આવાસ યોજનાના 1088 પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનો ફાળવવામાં આવ્યા હતા તેમાંથી થોડા દિવસ પૂર્વે 271 આસામીઓને પોતાના આવાસ ભાડે આપવા બદલ ભાવનગર મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા નોટિસ પાઠવી હતી, પ્રધાનમંત્રી કે મુખ્યમંત્રી આવાસ યોજનાના આવાસ 7 વર્ષ સુધી વેચી શકાતા નથી કે ભાડે આપી શકાતા નથી. તેવી જોગવાઈ છે છતાં પણ ભાડે આપતા મહાનગરપાલિકા દ્રારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

પ્રધાનમંત્રી આવાસ યોજનાના 1088 આવાસો સામે 271 આસામીઓએ આવાસને ભાડે આપેલા હોવાથી આજે ભાવનગર મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ વિભાગે સ્થળ પર પહોંચે 30થી વધુ આવાસોને સીલ માર્યા હતા.

(12:15 am IST)