Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd January 2018

જેતલસર(જં)માં લેઉવા પટેલ માતા-પુત્રીનો આપઘાત

૯૫ વર્ષના સાસુ ઘરે એકલા હતા ત્યારે પુત્રવધુએ પૌત્રી સાથે અગ્નિસ્નાન કરી લેતા અરેરાટીઃ કારણ અંગે રહસ્ય

તસ્વીરમાં મૃતક માતાનો મૃતદેહ, બીજી તસ્વીરમાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લઈ જવાતો નજરે પડે છે. જ્યારે ત્રીજી તસ્વીરમાં માતા અને પુત્રીનો ફાઈલ ફોટો. (તસ્વીરઃ કુલદીપ જોશી-જેતલસર)

 જેતલસર, તા. ૨ :. જેતપુર તાલુકાના જેતલસર જંકશનમાં આજે લેઉવા પટેલ પરિવારમાં માતા-પુત્રીએ અગ્નિસ્નાન કરી લેતા અરેરાટી વ્યાપી ગઈ છે. બનાવની જાણ થતા સમસ્ત જેતલસર ગામમાં ઘેરો શોક છવાઈ ગયો છે. માતાએ પુત્રીને સળગાવી દીધા બાદ પોતે પણ આત્મહત્યા કરી લેતા ચકચાર જાગી છે.

પ્રાપ્ત માહિતી મુજબ જેતલસરના જંકશન રોડ પર દરગાહ પાસે રહેતા મનસુખભાઈ રણછોડભાઈ ઠુંમર (લેઉવા પટેલ)ના પુત્ર દિવ્યેશભાઈ મનસુખભાઈ ઠુંમરના પત્નિ રમાબેન (ઉ.વ.૩૧) અને તેની માસુમ પુત્રી ઋત્વા (ઉ.વ.૬) બન્ને માતા-પુત્રી સળગીને ભડથુ થઈ ગયેલા મૃતદેહો ઘરમાંથી મળી આવતા લોકોના ટોળેટોળા એકત્ર થઈ ગયા હતા અને આ અંગે પોલીસને જાણ કરી હતી.

માતા રમાબેન ઠુંમરે પ્રથમ પોતાની પુત્રી ઋત્વાને સળગાવી દીધા બાદ પોતે પણ સળગીને જીવ દઈ દીધો હતો. આ બનાવ બન્યો ત્યારે રમાબેનના પતિ દિવ્યેશભાઈ ઠુંમર તથા પરિવારજનો વાડીએ ગયા હતા. ઘરમાં માત્ર રમાબેનના ૯૫ વર્ષના સાસુ જ હતા.

આ બનાવની જાણ થતા તાલુકા પોલીસનો કાફલો તેમજ રાજકીય-સામાજીક આગેવાનો જેતલસર દોડી આવ્યા હતા અને માતા-પુત્રીના મૃતદેહોને જેતપુરની સરકારી હોસ્પીટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે.

લેઉવા પટેલ પરિણીતાના આપઘાતના કારણ અંગે પોલીસે તપાસ શરૂ કરી છે. પુત્રીને સાથે રાખીને પરિણીતાએ કયા કારણોસર જીવ દીધો ? તે અંગે વધુ તપાસ હાથ ધરાઈ છે.

સાસુ-વહુ વચ્ચે ઝઘડો થયો'તો?

(કેતન ઓજા દ્વારા) જેતપુરઃ અત્યંત કરૂણ ઘટનામાં માતાએ પોતાની પુત્રી સાથે કેમ જીવ દઇ દીધો તે ચર્ચાનું કેન્દ્ર છે. ત્યારે  પુત્રવધુ રસોઇ બનાવતા હતા ત્યારે રસોઇની બાબતમાં સાસુ-વહુ વચ્ચે ઝઘડો થતા પુત્રવધુએ પોતાની પુત્રી સાથે જીવ દઇ દીધો હોવાનું ચર્ચાઇ રહયું છે.

(3:37 pm IST)