Gujarati News

Gujarati News

News of Friday, 1st December 2017

કચ્છના પૂર્વ કોંગ્રેસી ધારાસભ્ય જયકુમાર સંઘવીનું હૃદયરોગના હુમલાથી અવસાન

અત્યારે શકિતસિંહ ગોહીલના ચૂંટણી પ્રચારમાં સક્રીય હતાઃ કચ્છના રાજકીય સામાજિક આગેવાનોએ આપી શ્રધ્ધાંજલી

 ભૂજ, તા. ૧ :. પૂર્વ કોંગ્રેસી ધારાસભ્ય અને કચ્છના માંડવીના વતની જયકુમાર સંઘવીનું આજે હૃદયરોગથી દુઃખદ નિધન થયુ છે. વહેલી સવારે ૫.૩૦ વાગ્યે હૃદયરોગના હુમલાથી તેમની તબીયત લથડતા પ્રાથમિક સારવાર દરમ્યાન જ તેમનું મૃત્યુ નિપજ્યુ હતું.

આખાબોલા અને નીડર વકતા જયકુમાર સંઘવી વ્યવસાયે વકીલ હતા અને અપરિણીત હતા. હાલ તેઓ કોંગ્રેસના માંડવી બેઠકના ઉમેદવાર શકિતસિંહ ગોહિલ સાથે ચૂંટણી પ્રચારમાં સક્રીય હતા. નલીયા અને મુંદરાની જાહેરસભા ઉપરાંત માંડવી-મુંદરા વિસ્તારના પ્રચારકાર્યમાં સાથે હતા. તેમના નિધનના સમાચાર મળતા શકિતસિંહ ગોહીલ ઉપરાંત કોંગ્રેસી આગેવાનો તેમજ ભાજપના આગેવાનોએ તેમને ભાવભરી શ્રધ્ધાંજલી અર્પી હતી. પૂર્વ મુખ્યમંત્રી સુરેશ મહેતાના તેઓ રાજકીય પ્રતિસ્પર્ધી હતા. તેમની ઉંમર ૭૫ વર્ષ હતી, પરંતુ તેઓ છેલ્લે સુધી જાહેર જીવનમાં સક્રીય હતા.

(12:00 pm IST)