Gujarati News

Gujarati News

News of Tuesday, 1st October 2019

માતાના મઢથી દર્શન કરી પરત ફરતાં ત્રણ બાઇકને ટ્રકે ઉલાળતા મોરબી, મીઠાપુરના ૩ યુવાનોના મોત- ૩ ઘાયલ

સામખીયાળી પાસે અકસ્માત, પદયાત્રીઓના પ્રવાહ સમયે બેફામ સ્પીડે દોડતાં વાહનોને કારણે મઢના દર્શનાર્થીઓ સતત માર્ગ અકસ્માતનો ભોગ

ભુજ,તા.૧: આ વખતે માતાના મઢ વાહન દ્વારા જઈ રહેલા દર્શનાર્થીઓ માટે માર્ગ અકસ્માતોએ ચિંતા સર્જી છે. છેલ્લા પાંચ દિવસ થયા નાના મોટા માર્ગ અકસ્માત સતત ચાલુ જ છે.

ભચાઉ સામખિયાળી હાઇવે ઉપર ત્રણ બાઇક સવારોને ટ્રકે ઉલાળતાં ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. જેમાં ત્રણ યુવાનોએ પોતાના જીવ ખોયા હતા, જયારે અન્ય ત્રણ ઇજાગ્રસ્ત થયા છે. વરસતા વરસાદ વચ્ચે રોડની સાઈડે હોટલ વે વેઇટ પાસે ઉભેલા મોરબી અને મીઠાપુર (જામનગર) ના બાઇક સવારોને બેફામ ઝડપે દોડતી ટ્રકે હડફેટે લીધા હતા.

જેમાં જીજ્ઞેશ મનહર પંડ્યા (ઉ.૩૫, મોરબી), મયુર હરીશ બારીયા (ઉ. ૨૯, મીઠાપુર) નું સ્થળ ઉપર જ અરેરાટીભર્યું મોત નીપજયું હતું. જયારે બાલુભાઈ મેપા માન્યા (ઉ.૩૦, મીઠાપુર) નું સારવાર દરમ્યાન મોત નીપજયું હતું.

અન્ય ત્રણ યુવાનો આનંદ માવજી બારીયા, મહાવીર ધીરુભા જેઠવા (બન્ને, મીઠાપુર) અને ચંદ્રેશ નાનજી પરમાર (મોરબી) ગંભીર ઇજાગ્રસ્ત હોઈ સારવાર હેઠળ છે. અકસ્માત સર્જનાર ટ્રક ચાલક ટ્રક સાથે નાસી છૂટ્યો હતો. પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.(૨૨.૧૦)

(11:42 am IST)