Gujarati News

Gujarati News

News of Thursday, 1st July 2021

મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખની પ્રેરણાદાયી જન્મદિનની ઉજવણી.

જિલ્લા ભાજપ પૂર્વ પ્રમુખ રાધવજીભાઈ ગડારાએ ઉચ્ચ અભ્યાસ કરતી દીકરીના અભ્યાસ સહીત તમામ ખર્ચ, તેમજ નિરાધાર પરિવારના આજીવન જીવન નિર્વાહના તમામ ખર્ચની જવાબદારી ઉઠાવવા સાથે પરિવાર દત્તક લઈ સમાજને એક ઉત્તમ પ્રેરણાદાયી ઉદાહરણ પુરૂ પાડ્યું

મોરબી પાટીદાર સમાજના અગ્રણી, પ્રથમ હરોળના ઉધોગપતિ અને સન્માનીય રાજકીય આગેવાન અનેક સામાજીક, સેવાકાર્યો માટે જાણીતા મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ રાઘવજીભાઇ જીવરાજભાઈ ગડારા નો આજે જન્મદિન હતો ત્યારે તેમણે ટંકારાના આર્ય સમાજ ખાતે વિધિવત્ રીતે પુજા અર્ચના કરવા સાથે એક નિરાધાર પરિવારને આજીવન દત્તક લઈ સમાજને એક પ્રેરણાદાયી સંદેશ પુરો પાડ્યો હતો.
આ તકે રઘવજીભાઈ ગડારાએ જણાવ્યુ હતું કે, મને ટંકારા આર્યસમાજના એક સેવક દ્વારા ટંકારાના એક સાવ નિરાધાર ખુબ મદદની જરૂર હોય તેવા એક પાટીદાર પરિવાર વિશે જાણ કરવામાં આવી હતી, જે પરિવાર ના એકના એક મોભી એવા જે સમગ્ર પરિવારનું ગુજરાન ચલાવતા પિસ્તાલીસ વર્ષીય યુવાનનું કોરોનામાં કરૂણ મોત નિપજ્યું અને પોતાની પાછળ વૃધ્ધ માતા, પત્ની અને લોક ફાળાથી ફાર્મસીના પ્રથમ વર્ષમાં એડમિશન લેનાર તેજસ્વી પુત્રીને  કલ્પાંત કરતા છોડી ગયા. પુત્રીના આગળનો  અભ્યાસ, અને પરિવારનું ગુજરાન કેમ ચલાવવું તે વિકટ પ્રશ્ન આવ્યો અને પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યુ એક એવો પરિવાર જે જ્યાં મળે જે મળે નાના મોટા કામ કરી કોઈ રીતે પરિવારનું ગુજરાન ચલાવવા લાચાર બન્યો. જ્યાં પરિવારનાં ગુજરાન નો પ્રશ્ન મણનો હોય ત્યાં પછી પરિવારની પુત્રીના ઉચ્ચ અભ્યાસની વાતજ ક્યાં રહી !!
અને આ વાત સાંભળી મેં મનોમન આ પરિવારની ઉચ્ચ અભ્યાસ કરતી પુત્રી ને જ્યાં સુધી અભ્યાસ કરવો હોય ત્યાં સુધી તેના અભ્યાસ સાથેનો અન્ય રહેવા જમવા સહિતનો આર્થિક ખર્ચ તેમજ પરિવારના ગુજરાન નો ખર્ચ ઉપાડવા સાથે આ પરિવાર મારે દત્તક લેવો તેવો મે વિચાર કર્યો અને મારા આ વિચારને મારા પત્નિ સહીત પરિવારે હોંસે હોંસે વધાવી લીધો. અને આજે મારો જન્મદિવસ હોવાથી ટંકારાના આર્યસમાજ મંદિરે જ મને પરિવારનો પરિચય કરાવનાર સેવક દ્વારા પૂજન અર્ચનની વ્યવસ્થા કરી અને મે તેમજ મારા ધર્મપત્ની એ આજે આ પરિવારને આજીવન માટે દત્તક લીધાની જાણ કરી હતી. અંતમાં તેમણે ઉમેર્યું હતું કે, આજે આપણી આજુબાજુ અનેકલોકો સંપૂર્ણ નીઃ સહાય જોવા મળતા હોયછે. તો અને બેબસ લાચાર બની અનેક રીતે પીડા અનુભવતા હોયછે, તેવા લોકોને આપણાથી બનતી યથા શકતી મદદ કરી એકબીજાનો શકય તેટલો સધિયારો બનવા પ્રયાસ કરવો જોઇએ, આપણે જો કોઈના આંશુ  લુંછવા માટે નિમિત્ત બની શકીએ તો એનાથી મોટો કોઈ ધર્મ ના હોઈ શકે!!
એવું હું માનુછુ.

(7:41 pm IST)