Gujarati News

Gujarati News

News of Thursday, 1st July 2021

વાંકાનેર એસ.ટી.ને હજુ કોરોના નડે છે?

સૌરાષ્ટ્ર-ગુજરાતના યાત્રાધામો અનલોક થયા પણ વાંકાનેર એસ.ટી.ના અનેક રૂટ હજુ પણ બંધ

(નિલેશ ચંદારાણા દ્વારા) વાંકાનેર તા.૧ : સૌરાષ્ટ્ર ગુજરાતમાં કોરોના મહામારી અંકુશમાં આવતા પ્રસિધ્ધ યાત્રાધામો પીકનીક સેન્ટરો રાજય સરકારની છુટછાટ બાદ ખુલી ગયા છે પરંતુ વાંકાનેર એસટી ડેપો દ્વારા પ્રસિધ્ધ યાત્રાધામોને જોડતી બસો કોરોના અને યાત્રાધામો બંધને લઇને એસટી બસો બંધ કરી છે જે આજ સુધી શરૂ કરવામાં નહી આવતા યાત્રિકો અને મુસાફરોમાં કચવાટ સાથે રોષની લાગણી ફેલાઇ રહી છે.

વાંકાનેરથી અંબાજી યાત્રાધામને જોડતી એસટી બસ વાંકાનેરથી સવારે સવા છ વાગ્યે ઉપડતી આ બસ વાયા મોરબી, હળવદ, ધ્રાંગધ્રા, પાટડી, દસાડા, બહુચરાજી, મેસાણા, ઉંજા, ઉનાવા, સિધ્ધપુર, પાલનપુર, દાતા થઇને અંબાજી પહોચતી આ બસ વર્ષાથી આ રૂટ ઉપર દોડે છે અને ઉપરોકત ગામોને અંબાજી માતાજીના દર્શન માટે સીધી મળતી બસ કોરોનાને પગલે મંદિરો બંધ થતા બસ પણ બંધ કરી દીધી પરંતુ રાજય સરકારે યાત્રાધામો ભાવિકો માટે ખુલ્લા મુકવા છુટ આપી પણ વાંકાનેર એસટી ડેપોને આ બસ શરૂ કરવા માટે કયુ ગ્રહણ નડે છે તે નથી સમજાતુ. આટલા બધા ગામને આ બસનો લાભ મળે છે છતા બસ કેમ શરૂ કરવામાં નથી આવતી તેવો પ્રશ્ન પ્રજામાંથી પુછાય રહ્યો છે.

વાંકાનેર એસટી ડેપોના અમુક કર્મચારીમાંથી જાણવા મળ્યા મુજબ આ રૂટ ઉપર ઇન્કમ ઓછી આવતી હોવાનુ ચર્ચાય છે તો બીજા અમુક સુત્રોમાંથી મળતી વિગત મુજબ આ રૂટ ઉપર સારી બસ નહિ મુકવાથી અને જે બસ અંબાજી જતી તે બસ છાશવારે રસ્તામાં બંધ પડી જતી ફોલ્ટ થવાથી પેસેન્જરોને સમયસર લાભ નહી મળતા ઇન્કમની ઘટ થતી હોવાનુ જાણવા મળેલ.

પરંતુ આ મહત્વનો રૂટ હોય માતાજીના ધામમાં દર્શનનો લાભ મળતી આ વાંકાનેર અંબાજી રૂટ હોય તાત્કાલીક એસટી ડીવીઝન અને વાંકાનેર એસટી ડેપોના અધિકારીઓ વાંકાનેર અંબાજી બસ શરૂ કરે અને તેમા ફોલ્ટ વગરની સારી બસ મુકવામાં આવે તેવી યાત્રિકોમાંથી માંગ ઉઠી છે.

આવી જ રીતે વાંકાનેરથી ચોટીલા જવા માટે સવારે મળતી વાંકાનેર અમદાવાદ રૂટની બસ પણ કોરોનાને પગલે બંધ કરી છે. આ બસ પણ તાત્કાલીક શરૂ કરવા પ્રજા માંથી માંગ ઉઠી છે. હાલ રેલ્વેની ઇન્ટરસીટી ટ્રેન બંધ હોય વાંકાનેરના મુસાફરોને સવારે અમદાવાદ જવા માટે આ બસ ઘણી ઉપયોગી હોય તાકીદે શરૂ કરવા માંગ ઉઠી છે. વાંકાનેર તાલુકા ગ્રામ્ય વિસ્તારને જીલ્લા અને તાલુકા મથકોને જોડતી એસટી બસો બંધ કરી છે. જેમાં વાંકાનેરથી રાજકોટ વાયા અમરસર, પાંચ દ્વારકા, તીથવા બોડ, પીપળીયા રાજ, વાલાસણ, કોટડા થઇને વર્ષોથી દોડતી આ બસ ગ્રામ્ય પ્રજાને રાજકોટ દવાખાના સહિતના કામે આવવા જવા અતિ ઉપયોગી એવી આ બસ પણ સવારની કોરોના અને વિદ્યાર્થીના આવન જાવનની બાબત બતાવી ઘણા સમયથી બંધ કરી દીધી છે. જેના પગલે ઉપરોકત ગ્રામ્ય પ્રજાને રાજકોટ જવા માટે ફરજીયાત વાંકાનેર આવવુ પડે છે માટે તાકિદે આ સવારની બસ શરૂ કરવા એસટીનું તંત્ર જાગે તેવી માંગ ઉઠી છે.

વાંકાનેર એસટી ડેપો દ્વારા આવી અગત્યના રૂટની બસો બંધ કરી દીધી છે પરંતુ પ્રજાના પ્રતિનિધીઓ પણ કેમ ચુપ છે તેવો પ્રશ્ન પ્રજા પુછી રહી છે પ્રજાના મતથી ચુંટાયેલા પ્રતિનિધીઓ રાજકીય અગ્રણીઓ પોતાના પ્રાઇવેટ વાહનોમાં આવન જાવન કરતા હોય પરંતુ ગ્રામ્ય પ્રજા અને આમ પ્રજાને એસટી બસની જ મુસાફરી પરવળતી હોય તે પણ નેતાઓએ સમજવુ જોઇએ અને બંધ કરવામાં આવેલ. એસટી બસો તાકીદે શરૂ કરવા માટે આગળ આવવુ જોઇએ તેવી પ્રજામાંથી માંગ ઉઠી રહી છે.

(11:59 am IST)