Gujarati News

Gujarati News

News of Wednesday, 1st July 2020

વિરપુરમાં પરણિતાને આપઘાત માટે મજબુર કરનાર પતિ સહિત ચારની ધરપકડ

સામાજીક વ્યવહાર કાપી મૃતક વિભૂતીબાને ભાઇના લગ્નમાં પણ પતિ અને સાસરીયાએ આવવા દિધા ન હતા : ભાણેજના નામની પણ નાનાને ખબર ન હતી !

જેતપુર, તા. ૧ : વિરપુરની પરણિતાને આપઘાત માટે મજબુર કરનાર પતિ સહિત ૪ શખ્સોની પોલીસે ધરપકડ કરી હતી.

મળતી વિગતો મુજબ કેશોદ શહેરના રહેવાસી ભીમભાઈ દાદભાઈ દાતીએ વીરપુર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલ ફરીયાદ મુજબ તેમની બીજા નંબરની પુત્રી વિભૂતિબાના લગ્ન વર્ષ ૨૦૦૯માં રાજકોટમાં રહેતા મયુરદાન લાંગડીયા સાથે થયા હતા. જેમાં જમાઈ મયુરદાનને પ્રથમથી જ સાસરીયાઓ સાથે બનતું ન હોવાથી કયારેક મળે ત્યારે પોતાનો વડીલ તરીકેનો શિષ્ટાચાર પણ કરતો ન હોય જે વાત જમાઈના વડીલોને કહેતા તેણે અમારી સાથે વ્યવહાર જ કાપી નાખ્યો અને પુત્રીને પણ અમારી સાથે વાત કરવાની મનાઈ ફરમાવી દીધી. જેમાં સામાજીક પ્રસંગે કયારેક પુત્રી મળી જાય તો છાનેખુણે અમારી સાથે વાત કરી લેતી હતી.

પુત્રીને ત્રાસ ગુજારવામાં કઈ બાકી રાખ્યું ન હોય તેમ સગા ભાઈના લગ્નમાં પણ આવવા ન દીધી અને દસ વર્ષ દરમીયાન પુત્રીને સંતાનમાં પુત્ર, પુત્રી છે. જેના નામની પણ પોતાને ખબર નથી એટલી હદે વિભુતીબાને તેના સસરા ચંદુભાઈ સાસુ હંસાબેન, દિયર હિરેન અને પતિ મયુરદાન ત્રાસ આપતા હોવાથી તેણીએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. વીરપુર પોલીસે ભીમભાઈની ફરીયાદ પરથી ચારેયની ધરપકડ કરી જેલમાં મોકલી દીધા હતા.

(1:07 pm IST)