Gujarati News

Gujarati News

News of Monday, 1st March 2021

આર્થિક સ્‍થિતિ નબળી હોવાથી

મજુરી કામે જવાનું કહેતા જુનાગઢના ઝાલણસરની મહિલાનો આપઘાત

ખામધ્રોળની યુવતિની ગળાફાંસો ખાઇને આત્‍મહત્‍યા

જુનાગઢ તા.૧: જુનાગઢના ઝાલણસરની મહિલા અને ખામધ્રોળની યુવતીએ ગળાફાંસો ખાઇને આપઘાત કરી લેતા અરેરાટી પ્રસરી ગઇ હતી.

જુનાગઢ તાલુકાનાં ઝાલણસર ગામની પુનમબેન અજયભાઇ વાઘેલા (ઉ.વ.૩પ) નામની મહિલાએ રવિવારે ગળાફાંસો ખાઇને મોતને મીઠુ કરી લેતા તાલુકા પોલીસ દોડી ગઇ હતી.

મૃતકના પતિ અજય વશરામભાઇ વાઘેલાએ પોલીીસ સમક્ષના નિવેદનમાં જણાવેલ કે, ઘરની આર્થિક પરિસ્‍થિતિ  નબળી હોવાથી પત્‍ની પુનમને મજુરીકામે જવા સમાજવેલ જેનું માઠુ લાગી આવતા તેણીએ આપઘાત કરી લીધો હતો.

વિશેષ તપાસ હેડ  કોનસ્‍ટેબલ એન.આર.ભેટારીયા ચલાવી રહયા છે. આવા અન્‍ય એક આપઘાતના બનાવમાં જુનાગઢ તાલુકાના ખામધ્રોળ રોડ વિસ્‍તારમાં આરટીઓ ઓફિસ સામે રહેતી યોગીતા બાબુભાઇ સિસોદીયા (ઉ.વ.ર૦) નામની યુવતીએ રવિવારે પોતાના ઘરે ગળાફાંસો ખાઇને આત્‍મહત્‍યા કરી લીધી હતી.

યોગીતાબેનના આપઘાત પાછળનું કારણ બહાર આવેલ નથી વિશેષ તપાસ વુમન એએસઆઇ એસ.એમ.દિવરાણીયા ચલાવી રહયા છે.

ત્રીજા એક આપઘાતના કિસ્‍સામાં કેશોદ તાલુકાના અજાબગામે રહેતા લખધીરભાઇ ભીમાભાઇ બાબરીયા (ઉ.વ.૩૩) નામના યુવાને પણ રવિવારે કોઇપણ કારણોસર ગળાફાંસો ખાઇને મોતની સોડ તાણી લીધી હતી.

મૃતક યુવકનાં આપઘાત પાછળનું કારણ મેળવવા એએસઆઇ ડી.જે.ગોહેલ તપાસ હાથ ધરી છે.

(1:38 pm IST)