રાજકોટ
News of Wednesday, 18th July 2018

ઇન્દ્રનીલભાઇને પક્ષમાં પરત ફરવુ હોય તો દરવાજા ખુલ્લાઃ પ્રદેશ પ્રમુખ ચાવડા

રાજકોટ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ઇન્દ્રનીલ રાજયગુરૂને માનભેર પક્ષમાં પાછા લેવાની માંગ સાથે વિપક્ષી નેતા સહીત ૧પ કોંગી કોર્પોરેટરોની પ્રદેશ પ્રમુખને રજૂઆત

રાજકોટ, તા. ૧૮ :. શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને કોંગ્રેસના લડાયક ધારાસભ્ય ઈન્દ્રનિલભાઈ રાજ્યગુરૂને માનભેર પક્ષમાં પરત લેવા અંગે વિપક્ષી નેતા સહિત ૧૫ કોર્પોરેટરોની ટીમે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિતભાઈ ચાવડાને રજૂઆત કરી હતી.

આ અંગે વિપક્ષી નેતા વશરામભાઈ સાગઠિયાના જણાવ્યા મુજબ ઈન્દ્રનિલભાઈ રાજ્યગુરૂને ફરીથી કોંગ્રેસમાં સક્રિય કરવા માટે સમાજના વિવિધ આગેવાનોએ લાગણી વ્યકત કરી છે. ઉપરાંત કોંગ્રેસના કાર્યકરો-આગેવાનો અને ૧૭ જેટલા કોર્પોરેટરો પણ ઈન્દ્રનિલભાઈની ઘરવાપસી ઈચ્છે છે આથી આજે કોંગ્રેસના ૧૫ કોર્પોરેટરોની ટુકડીએ અમદાવાદ કોંગ્રેસ કાર્યાલય ખાતે પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડાને ઈન્દ્રનિલભાઈને પક્ષમાં માનભેર પરત લેવા રજૂઆત કરી હતી.

આ રજૂઆતના પ્રત્યુત્તર અંગે વિપક્ષી નેતા વશરામભાઈ સાગઠિયાએ અકિલાને જણાવ્યુ હતુ કે, અમિતભાઈએ સ્પષ્ટ કર્યુ હતુ કે, 'ઈન્દ્રનિલભાઈને પક્ષમાં પરત ફરવુ હોય તો દરવાજા ખુલ્લા જ છે.' ઈન્દ્રનિલભાઈનું રાજીનામુ પ્રદેશ કક્ષાએ નહીં સ્વીકારાયાનું વશરામભાઈએ જણાવ્યુ હતું. આમ હવે કોંગ્રેસમાં સક્રીય થવુ કે ન થવું ? તે બાબતનો આધાર ઈન્દ્રનિલભાઈ ઉપર છે તેવો નિર્દેશ આજની આ રજૂઆત ઉપરથી મળી રહ્યો છે.(૨-૧૭)

(3:37 pm IST)