રાજકોટમાં રન ફોર યુનિટીમાં ૮પ૦૦ લોકોએ દોડીને એકતા અખંડીતતાનો સંદેશ પ્રસરાવ્યો
મંત્રી જયેશ રાદડીયાએ લીલીઝંડી આપીઃ સાંસદ મોહનભાઇ કુંડારિયા, મેયર બીનાબેન આચાર્ય, ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, મ્યુ. ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી સહીતના આગેવાનોની ઉપસ્થિતી
રાજકોટ તા. ૩૧ : આજે તા. ૩૧ મી ઓકટોબર ના રોજ લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવાના ભાગરૂપે એકતા માટેની દોડ રન ફોર યુનિટીનું જિલ્લા વહિવટી તંત્ર દ્વારા રાજયના અન્ન અને નાગરીક પુરવઠા મંત્રી જયેશભાઈ રાદડીયાના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવી હતી.
રન ફોર યુનીટીને ફલેગ-ઓફ કરાવતા પહેલા મંત્રીશ્રી જયેશભાઈ રાદડીયાએ તથા ઉપસ્થિત તમામ મહાનુભાવોએ સરદાર સાહેબની પ્રતિમાને પુષ્પમાળા અર્પણ કરવામાં આવી હતી. ત્યાર બાદ સર્વશ્રીઓ દ્વારા દેશની રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાને જાળવી રાખવા માટે શપથ ગ્રહણ કર્યા હતા. બાદમાં મહાનુંભાવોએ રન ફોર યુનીટીને ફલેગ-ઓફ કરાવ્યું હતું.
આ રન ફોર યુનીટી ત્રણ કિમીના રેસકોર્ષ રીંગરોડ પર ફરી હતી. જેમાં ૮૫૦૦ જેટલા લોકો જોડાયા હતા. શહેરની ૩૦ જેટલી સ્વૈચ્છિક સંસ્થાઓ ઉપરાંત શહેર, અને ગ્રામ્ય પોલીસના જવાનો, હોમગાર્ડસના જવાનો, એન.સી.સીના કેડેટ્સ, એન.એસ.એસના વિદ્યાર્થીઓ, જિલ્લા પંચાયત, મહાનગર પાલિકા, કલેકટર કચેરીના અધિકારીઓ, કર્મચારીઓ વિશાળ સંખ્યામાં લોકો પણ રન ફોર યુનીટમાં જોડાયા હતા. અને દેશની એકતા તથા અખંડીતાનો સંદેશ પ્રસારવો હતો.આજના આ રન ફોર યુનીટી કાર્યક્રમમાં મેયર બીનાબેન આચાર્ય, સાંસદ મોહનભાઈ કુંડારીયા, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, મ્યુનિસીપલ ફાયનાન્સ બોર્ડના ચેરમેનશ્રી ધનસુખભાઈ ભંડેરી, પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, કલેકટર સુશ્રી રેમ્યા મોહન, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અનિલ રાણાવાસિયા, જોઈન્ટ પોલીસ કમિશ્નરશ્રી ખુરશીદ અહેમદ, પોલીસ અધિક્ષકશ્રી બલરામ મીણા, મ્યુનિસીપલ કમિશ્નરશ્રી ઉદિત અગ્રવાલ, સૌરાષ્ટ્ર ઝોનના નગરપાલીકાના કમિશ્નરશ્રી સુશ્રી સ્તૃતિ ચારણ, તેમજ મહાનગર પાલીકાની વિવીધ સમિતીના અધ્યક્ષશ્રીઓ, નગરસેવકો, અધિકારીઓ, કર્મચારીઓ, સ્વયંસેવકો, સહિત શહેરના નાગરીકો વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.