રૈયા ગામમાં વણકર યુવાન રતિલાલ વાણીયાનો ભાઇબીજને દિવસે ગળાફાંસો ખાઇ આપઘાત
મોટો ભાઇ બોલાવવા જતાં દરવાજો બંધ હતોઃ બારીમાંથી જોતાં લટકતો મળ્યોઃ કારણ અકળ
રાજકોટ તા. ૩૧: રૈયા ગામમાં ૧૦૦ વારીયા પ્લોટમાં રહેતાં રતિલાલ અમરાભાઇ વાણીયા (ઉ.૨૭) નામના વણકર યુવાને ભાઇબીજની બપોરે રૂમમાં પંખામાં ચુંદડી બાંધી ગળાફાંસો ખાઇ લેતાં બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ તબિબે નિષ્પ્રાણ જાહેર કરતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો.
બનાવની જાણ હોસ્પિટલ ચોકીના રાજુભાઇ ગીડાએ કરતાં યુનિવર્સિટીના હેડકોન્સ. ઇકબાલભાઇએ હોસ્પિટલે આવી જરૂરી કાર્યવાહી કરી હતી. પરિવારજનોના કહેવા મુજબ આપઘાત કરનાર રતિલાલ ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવતો હતો. તે ત્રણ ભાઇ અને બે બહેનમાં ચોથો હતો. પત્નિનું નામ કાજલબેન છે. સંતાનમાં ત્રણ વર્ષનો પુત્ર છે. જેણે પિતાનું છત્ર ગુમાવતાં અરેરાટી વ્યાપી ગઇ છે. બપોર બાદ રતિલાલને બોલાવવા માટે તેના ભાઇ કાળુભાઇએ દરવાજો ખખડાવતાં નહિ ખોલતાં બારીમાંથી જોતાં તે લકટતો દેખાતાં દરવાજો તોડી બહાર કાઢી હોસ્પિટલે ખસેડાયેલ. પરંતુ ત્યારે મોડુ થઇ ગયું હતું. આપઘાતનું કોઇ કારણ બહાર ન આવતાં પોલીસે તપાસ યથાવત રાખી છે.
નિલેષ જાદવે આજીડેમ પ્રાણી સંગ્રહાલય પાસે ઝેર પીધું
નાના મવા રોડ પર મારવાડી બિલ્ડીંગ સામે રહેતાં નિલેષ મનોજભાઇ જાદવ (ઉ.૨૫) નામના યુવાને ભાઇબીજની સવારે દસેક વાગ્યે આજીડેમના પ્રાણી સંગ્રહાલય પાસે ઝેર પી લીધા બાદ મિત્રને ફોન કરતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં ચોકીના સ્ટાફે આજીડેમ પોલીસને જાણ કરી હતી.