આવતીકાલથી મગફળીની ખરીદીઃ પહેલા દિવસે કેન્દ્ર દીઠ ૨૫ ખેડૂતોને બોલાવાશેઃ દરેક કેન્દ્રો ઉપર સીસીટીવી કેમેરા
કલેકટરે ૪૪ના સ્ટાફના ઓર્ડર કર્યાઃ મજુરી-વીડીયોગ્રાફીનો ઓર્ડર અપાયોઃ ખરીદી માટે ૧૮ ટીમો બનાવાઈ
રાજકોટ, તા. ૩૧ :. આવતીકાલથી મગફળીની ખરીદી શરૂ થશે તેમ એડીશ્નલ કલેકટર શ્રી પરિમલ પંડયાએ 'અકિલા'ને જણાવ્યુ હતુ.
તેમણે જણાવેલ કે દરેક સેન્ટર દીઠ ૫ કર્મચારી રહેશે, જેમાં ખેતીવાડી, પ્રોમ્યોરમેન્ટ ઓફિસર, પુરવઠા નિગમ, મહેસુલ વિગેરેનો સમાવેશ થાય છે.
રાજકોટ શહેર-જીલ્લામાં કુલ ૧૧ કેન્દ્રો ઉપરથી ખરીદી થશે. કલેકટર દ્વારા આ માટે ૪૪ કર્મચારીના ઓર્ડર કરાયા છે. કુલ ૧૮ ટીમો બનાવાઈ છે.
દરેક કેન્દ્ર ઉપર સીસીટીવી કેમેરા લગાડી દેવાયા છે. મજુરી-વિડીયોગ્રાફીનો કોન્ટ્રાકટર આપી દેવાયો છે.
પ્રથમ દિવસે ૨૫ ખેડૂતોને બોલાવાશે. એક ખેડૂત પાસેથી વધુમાં વધુ ૨૫૦૦ કિલો મગફળી લેવાશે.
શ્રી પંડયાએ જણાવેલ કે, ખરીદી કેન્દ્ર દીઠ એક સરકારી ગોડાઉન ફાઈનલ કરાયુ છે. જીલ્લા વાઈઝ મગફળીનો સંગ્રહ થશે. અમરેલી, જૂનાગઢ, પોરબંદર, જામનગર જીલ્લાને પણ જરૂર પડયે ગોડાઉન અપાશે.
જેમના ઓર્ડર થયા હતા, તે તમામને કલેકટરની ઉપસ્થિતિમાં ડીએસઓ શ્રી જેગોડા દ્વારા ખરીદી અંગે તાલીમ અપાઈ હતી.
રાજકોટ શહેર-જીલ્લામાં કુલ ૮૧ થી ૮૨ હજાર ખેડૂતોનું મગફળી ખરીદી અંગે રજીસ્ટ્રેશન થયું છે.