રમેશભાઇ રૂપાપરાનું નામ ગેરસમજથી આપ્યું હતું, હવે તેના વિરૂધ્ધ કોઇ ફરિયાદ નથીઃ રમેશ મકવાણાની જીલ્લા પોલીસ વડાને લેખિત અરજ
રાજકોટ તા. ૩૧: નાના મવા આંબેડકરનગરમાં રહેતાં રમેશભાઇ રાણાભાઇ મકવાણાએ જીલ્લા પોલીસ વડાશ્રીને એક લેખિત અરજી પાઠવી જણાવ્યું છે કે અમારી ગેરસમજણને કારણે અમારી ફરિયાદમાં રમેશભાઇ રૂપાપરાનું નામ એફઆઇઆરમાં દાખલ કરવા માટે આપ સાહેબને આવેદન તથા રજૂઆત કરી હતી. પરંતુ અમોને સાચી હકિકતની જાણ થઇ છે. રમેશભાઇ રૂપાપરાનો આમાં કોઇ જ રોલ નથી કે તેણે કોઇને ઉશ્કેર્યા નથી. અમારે હવે રમેશભાઇ રૂપાપરા વિશે કોઇ જ ફરિયાદ રહેતી નથી. તેમજ રમેશભાઇ રૂપાપરા અમારા કેસમાં સંડોવાયા નથી. આ સંદર્ભમાં કંઇ કરવાનું રહેતું નથી. જે આપની જાણ માટે આ રજૂઆત કરી છે.
ઉલ્લેખનિય છે કે પડધરીના નાની અમરેલીમાં રમેશભાઇ મકવાણા પર હુમલો થયો ત્યારે રમેશભાઇ રૂપાપરાનું નામ પણ ઉછળ્યું હતું. આ કેસમાં આરોપી પકડાતા નહિ હોવાના રોષ સાથે ગઇકાલે રમેશભાઇ રાણાભાઇના પત્નિ હેતલબેન સહિત ચારે મુખ્મમંત્રીશ્રીના બંગલે આત્મવિલોપનનો પ્રયાસ કરતાં અટકાયત થઇ હતી.