પૂ. નમ્રમુનિ મ.સા.નો સોમવારે ચાતુર્માસ અર્થે ભવ્ય નગર પ્રવેશઃ જૈન ચાલથી શોભાયાત્રા
રાજકોટઃ તા.૩૧, મુંબઇ , કોલકતા, ચેન્નઇ, હેૈદાબાદ, બેંગ્લોર, રાયપુર, આકોલા જેવા પુર્વ ભારત અને દક્ષિણ ભારતના અનેક અનેક ક્ષેત્રોમાં અથાગ શાસન પ્રભાવના કરીને હજારો હૃદયમાં ધર્મપ્રેમ જાગૃત કરનારા રાષ્ટ્રસંત ગુરૂદેવ શ્રી નમ્રમુનિ મ.સા. રાજકોટની ધરા પર સત્તર વર્ષના લાંબા સમય બાદ ચાતુર્માસ અર્થે પધારી રહયા છે. ત્યારે એમના નગર પ્રવેશને વધાવવા સમગ્ર રાજકોટમાં આનંદ-ઉત્સાહની એક લહેર પ્રસરાઇ રહી છે
જે ભુમિનું ભાગ્ય અનશન આરાધિકા પૂજય શ્રી ભાગયવંતાજી મહાસતીજીએ સૌભાગ્યમાં પ્રવર્તીત કરી દીધુ હતુ તેવા રાજકોટ મહાનગરના શ્રી સ્થાનકવાસી જૈન મોટા સંઘ સંચાલીત ધર્મક્ષેત્ર સમા શ્રી શાલીભદ્ર સરદારનગર સ્થાનકવાસી જેૈન સંઘમાં ગુજરાતરત્ન પૂજય શ્રી સુશાંતમુનિ મહારાજ સાહેબ રાષ્ટ્રસંત પૂજય શ્રીનમ્રમુનિ મહારાજ સાહેબ, પૂજય શ્રી ચેતનમુનિ મહારાજ સાહેબ આદિ ૬ સંતો તેમ જ ૭૫ પૂજય મહાસતીજી વૃંદ તા.૪ને સોમવારના ૮:૩૦ કલાકે મંગલ પધરામણી કરશે.
આ અવસરે પૂજય સંત-સતીજીઓના જૈન આગમનને વધાવવા સ્વાગત શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. સ્વાગત શોભા યાત્રા સવારના ૭:૩૦ કલાકે રાજકોટના શ્રી જૈનચાલ સ્થાનકવાસી સંઘ, ગોંડલ રોડથી પ્રારંભ થઇ યાજ્ઞિક રોડ થઇને ૮:૩૦ કલાકે શ્રી શાલીભદ્ર સરદારનગર જૈન સંઘમાં પધારશે જયાં ૮:૩૦ થી ૧૦:૩૦ કલાક દરમિયાન સ્વાગત સમારોહ યોજાશે.
સમસ્ત રાજકોટના શ્રી સંઘો, મહિલા મંડળો, યુવા મંડળોના સભ્યો, અહૃમ યુવા ગ્રુપ તેમજ લુક એન લર્નના ભાવિકો સાથે વિશાળ સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહીને પ્રવેશ વધામણા કરશે. આ પુણ્યવંતા અવસરનો લાભ લેવા દરેક ધર્મપ્રેમી ભાવિકોને પધારવા શ્રી સંઘ તરફથી આમત્રંણ આપવામાં આવ્યું છે.