સહકાર સોસાયટીની કાજલ ઠુમ્મરનું મોત જલદ પદાર્થથી થયાનો રિપોર્ટઃ ત્રાસ હોવાનો આક્ષેપ
પારડીની ગુર્જર સુથાર મહિલાના અગાઉ છુટાછેડા થઇ ગયા હોઇ દસ માસ પહેલા રાજકોટના અતુલ ઠુમ્મર સાથ લગ્ન કર્યા'તાઃ સાસુ-દેરાણી-નણંદના ત્રાસથી જીવ દીધાની પિતાને શંકા: પિતા અતુલભાઇ સોંડાગરે ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ કરાવડાવ્યું
રાજકોટ તા.૩૦: સહકાર સોસાયટી-૮માં રહેતી કાજલબેન અતુલભાઇ ઠુમ્મર (ઉ.૨૬) નામની પરિણીતા સવારે બાથરૂમમાં પડી જતાં બેભાન થઇ જતાં ખાનગી હોસ્પિટલમાં ખસેડાઇ હતી. પરંતુ અહિ મોત નિપજ્યું હતું. ભકિતનગર પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી. દરમિયાન પારડીથી આવેલા મૃતકના પિતા અતુલભાઇ ગોરધનભાઇ સોંડાગર (ગુર્જર સુથાર)એ એવો આક્ષેપ કર્યો છે કે દિકરીનું મોત કુદરતી નથી થયું તેણે ત્રાસને લીધે આપઘાત કર્યાની અમને દ્રઢ શંકા છે.
કાજલબેનના અતુલ ઠુમ્મર સાથે બીજા લગ્ન હતાં. દસ મહિના પહેલા જ આ લગ્ન કર્યા હતાં. જ્યારે અતુલના આ ત્રીજા લગ્ન હતાં. તેની અગાઉની બે પત્નિના પણ બેભાન હાલતમાં મોત થયા હતાં. અતુલ ઠુમ્મરને આજી વસાહત શ્રી હરિ ઇન્ડસ્ટ્રીમાં બજરંગ સ્ટીલ નામે કારખાનુ છે.
કાજલબેનના પિતા અતુલભાઇ સોંંડાગરે વધુમાં જણાવ્યું હતું કે બપોરે પોસ્ટ મોર્ટમનો પ્રાથમિક રિપોર્ટ આવ્યો છે. જેમાં જલદ પદાર્થથી મોત થયાનું અમને જણવાયું છે. મારી દિકરીને સાસુ મધુબેન, દેરાણી ભાવુબેન અને નણંદનો ત્રાસ હતો. દિકરી બાથરૂમમાં ગયા બાદ દરવાજો ન ખોલતાં દરવાજો તોડી બહાર કાઢી હોસ્પિટલે ખસેડાઇનું તેણીના સસરા ભગવાનજીભાઇએ કહ્યું હતું. દિકરીએ ત્રાસથી આપઘાત કર્યાનું અમારું માનવું છે. તેમ અતુલભાઇએ વધુમાં કહેતાં પોલીસ હવે કાર્યવાહી કરશે. (૧૪.૧૩)